લેખન એક વહેતી નદી, વહેતું પાણી જે સદાય અનેક વળાંકો અને અવરોહોને પાર કરે, પહાડો અને ચટ્ટાનોને પણ ચીરી નાખે અને અંતે વાચકોની અપેક્ષઓના દરિયામાં મળી જાય.
Book Summary
એક સુંદર પ્રેમકથા જે આપના હૃદયમાં સંવેદનો જગાડી જશે.
***
‘પાખી’ સંવેદનાત્મક સફરે લઈ જતી પ્રેમમય કથા.
ઉમંગ ચાવડા લેખકની લઘુનવલ ‘પાખી’ વાંચવા માટે હાથમાં લીધી અને બે કલાકમાં તો આખી વાંચી લીધી. હળવી શૈલીમાં લખાયેલી આ લઘુનવલ રસપ્રદ છે. ‘પાખી’ ક્યૂટ લવસ્ટોરી હોવાની સાથે સાથે સંવેદનશીલ સ્ટોરી છે. પાખી, રાહુલ, પરી, માધુરી અને પરીના માતા-પિતાની આસપાસ ગૂંથાયેલી વાર્તામાં પાખીનું પાત્ર અદ્ભુત રીતે ઉપસ્યું છે.
પહેલા પુરુષ એકવચનમાં કહેવાયેલી વાર્તાનો કથક પાખીનો પ્રેમી અને પતિ છે. પ્રેમમય આ ફેમિલી આનંદ કિલ્લોલ કરતું હોય છે ત્યાં એક દુખદ ઘટના બને છે. આ ઘટનામાંથી બહાર નીકળીને કેવી રીતે જીવવું તે પાખી શીખવાડે છે. આ નોવલની રસપ્રદ બાબત તેની શૈલી છે. કરૂણ પ્રસંગોને પણ લેખકે હળવી શૈલીમાં આલેખ્યા છે તે લેખકનું જમાપાસું છે. આવા પ્રસંગો વાંચતી વખતે વાચકની એક આંખ હસતી હોય અને બીજી આંખ રડતી હોય છે. કરૂણ પ્રસંગમાં પણ રમુજ કરવી તે ખુબજ મુશ્કેલ બાબત છે. ઉમંગ ચાવડાએ તે સિધ્ધ કરી બતાવ્યું છે.
પાખીના પાત્ર દ્વારા લેખકે જીવન જીવવાની એક ફિલોસોફી રજૂ કરી છે. દરેક વ્યક્તિની જિંદગીમાં સારી ખોટી ઘટનાઓ બનતી હોય છે. દરેક વ્યક્તિને તેનું સ્વજન ગુમાવવાનો વારો આવે જ છે. આવા સમયે સ્થિતપ્રજ્ઞ રહીને કેવી રીતે બાકીની જિંદગી જીવવી જોઈએ તે આ નવલકથામાં દર્શાવીને લેખકે જીવન પ્રત્યેનો પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. લેખકની આ ફિલોસોફી દરેક વ્યક્તિએ અપનાવવા જેવી છે.
‘પાખી’ના સહૃદયી લેખક પાસેથી આવી સંવેદનાત્મક નવલકથાઓ મળતી રહેશે તેવી અપેક્ષા સહ લેખકને અને શોપિઝન ટીમને ખૂબ ખૂબ અભિનંદન. - મનહર ઓઝા