રિસાયેલી રાધા
રિસાયેલી રાધા
રાધા રિસાય એટલે કૃષ્ણ મનાવે—
ના, કૃષ્ણ મનાવે એટલે રાધા રિસાય.
એ રિસાવાનો હક ફક્ત રાધાનો જ,
અને એ મનાવવાનો હક ફક્ત કૃષ્ણનો જ.
આમ છતાં કૃષ્ણમયી રાધા રિસાય છે—
એવા રિસાય છે કે ના પૂછો વાત.
કાનો વૃંદાવન છોડે, એ કેમ ગમે રાધાને?
પણ કાનો તો બધાનો થઈને પણ કોઈનો નથી.
આ સત્ય કોણ સમજાવે એ રાધાને...
રાધા રિસાય છે અને કાનો છેલ્લી વાર મનાવે છે,
‘રાધે રાધે’ કહીને બોલાવે છે.
રાધાને મન હતું કે જો પોતે નહીં માને,
તો કદાચ એનો કાનો એને મનાવવા રોકાઈ જાય.
પણ હક ઉપર ફરજ ભારે પડી ગઈ;
આખરે ધર્મની સ્થાપના કરવાનું કામ તો કૃષ્ણએ કરવાનું હતું.
રાધા એવી રિસાય કે ફરી ક્યારેય કૃષ્ણને મળી નહીં,
અને કૃષ્ણના મનમાં પણ કદાચ ક્યાંક અફસોસ રહ્યો હશે—
કે પોતાની રાધાને મનાવી ના શક્યા.
રહ્યો પ્રેમ અધૂરો રાધા-કૃષ્ણનો;
વાંસળીના સુર છૂટ્યા, કાન-ગોપીના રાસ ભુલાયા.
આખરે રિસાયેલી રાધાને મનાવનાર એનો કાનો
વૃંદાવન છોડી ચાલી ગયો.
