મિલી
મિલી ! (લઘુકથા)
. ===============
એક ગામ હતું, તેમાં એક ભોલાભાઈ નામનો ખેડૂત રહેતો હતો. તે ભાજયા તરીકે કામ કરતો હતો. તે પોતાની જિંદગીથી ખૂબ ખુશ હતો. તેને મિલી નામની દીકરી હતી અને રાજેશ નામનો દીકરો હતો. જેની માતા મૃત્યુ પામી હતી. જેમ દૂધાળુ પ્રાણી તેના બચ્ચા માટે આંચળનો સ્ત્રોત ખાલી ના કરે અને પોતાનું બચ્ચું નજીક આવે ત્યારે તેના કાન ચાટે એવી માતાની જેમ તે પોતાની દીકરીને ખૂબ લાડ લડાવતો હતો.
એક દિવસ સાંજે પોતાના ઘરે જતો હતો, ત્યારે રસ્તામાં તેમને ઈન્દ્ર દેવ મળ્યા. ઈન્દ્ર દેવને તેની પરીક્ષા લેવાનું મન થયું. તેઓ તેની સમીપ આવ્યા અને તેમનો પરિચય આપ્યો.
" હે ભોલા હું તારી કર્તવ્ય ભાવનાથી ખૂબ પ્રસન્ન છું, હું તને ૧૦૦૦ એકર જમીન આપવા માગું છું, તથા એક જાદુઈ છત્રી આપું છું, જેને તું ખોલીશ એટલે તારી ખેડેલી જમીનમાં વરસાદ પડશે અને છત્રી બંધ કરીશ એટલે વરસાદ બંધ થશે."
" હે ! પ્રભુ આટલી બધી જમીનની રખેવાળી હું ના કરી શકું "
" અરે ભલા, એના માટે તું તારા જેવા મહેનતું માણસો રાખજે."
" પણ, જેટલા માણસો રાખું એટલા માણસોને યોગ્ય મહેનતાણું આપવામાં કોઈ ચૂક રહી જાય તો મારી ભગી (તેની પત્ની)નો આત્મા દુઃખી થાય. "
" અરે ભાઈ, તારો પાક બારેમાસ એટલો પાકશે કે, તારી પાસે રૂપિયાઓની ઉણપ નૈ રહે "
"................"
" તારી દીકરી પણ મોટા શહેરમાં સારું ભણતર મેળવી શકશે."
" હા, મારી ભગીની બહું ઈચ્છા હતી કે મારી મિલી ખૂબ ભણે "
" તો, લે આ છત્રી અને અહીંથી ત્રીજા ગામની પાદરે જજે, તને એક ભાઈ ૧૦૦૦ એકર જમીનના પ્રમાણો આપશે. "
"ના, પ્રભુ મારે આ નથી જોયતુ, મારી મિલી તો સેવાભાવી છે તેને તો સર્વ લોકોની સેવા કરવાની ભારે ઈચ્છા છે. "
"જેવી તારી મરજી, મારા આશિષ છે કે તને કોઈ તકલીફ નૈ પડે" એટલું કહીને ઈન્દ્ર દેવ અદ્રશ્ય થયા.
માંડી સાંજે ભલો તેનાં ઘરે ગયો અને બધી વાત મિલી અને રાજેશને કરી. તેની દીકરી બહું સમજું હતી. મિલીએ કહ્યું આપે જાદૂઈ છત્રી ના લીધી. તે તમે સારું કર્યું. વધું ભણતર મને ટોચ ઉપર તો લઈ જાય, પણ મારા સદવિચારોનું હનન થઈ જાય. મારામાં રૂપિયા કમાવવાની લગની લાગી જાય. માટે મારે આગળ ભણવું નથી, તમોને વધારે બોજ આપવો નથી.
" પણ બેટા તારે કોલેજ સુધીનું તો ભણવું જોઈએ, તું હજી નાની છે, તારે હજી સત્તરમુ વરહ ચાલે છે. "
" ના, બાપુ મારે આટલું વર્ષ જ ભણવું છે, પછી હું આધ્યાત્મિક કાર્યો તરફ વળવા માગું છું. "
" ભલે દીકરા જેવી તારી મરજી"
" એટલીવારમાં મોટા ભાઈની વહું પણ આવી જશે અને મારા ભાઈ-ભાભી તમારી સેવા કરશે અને હું મારા આત્માનું કલ્યાણ કરવા આગળ ધપીશ."
ધીરે ધીરે સમય નદીની માફક વહેતો જાય છે, અને ભોલાભાઈનું કુટુંબ પોતાની નાની નાની ખુશીઓમાં કિલ્લોલ કરે છે. વખત જતાં મિલી એચ.એસ.સી.ની પરીક્ષામાં ૯૮% ટકાએ ઉત્તિર્ણ થાય છે અને પોતાનું ગામ અને જિલ્લાનું નામ રોશન કરે છે. પછી તે તેની ઈચ્છા મુજબ બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાઈ જાય છે, શિવબાબાની ધૂનમાં તે ઉત્તમ યોગગુરુ બને છે, અને એક નાનું કેન્દ્ર તે સંભાળી લે છે તથા ભગવાનને ભૂલેલા માનવીઓને આધ્યાત્મિક જ્ઞાન આપે છે.
સ્વર્ગમાં બેઠેલા ઈન્દ્રાણીએ પોતાના પતિને કહ્યું, જૂઓ સ્વામી તમે પૃથ્વી પર જઈને જે ખેડૂતને તમારી ઓળખાણ આપી હતી. તે ખેડૂતની દીકરી અત્યારે એટલાં સારાં કામ કરે છે કે ભોલાભાઈને કોઈ પણ વ્યક્તિ પાસે જઈને પાતાની ઓળખાણ આપવી પડતી નથી. આ છે સાચી પરવરિશ અને તેમનો સદ-ઉછેર કે તેઓ જ્યાં જાય ત્યાં લોકો તેમને ભોલાભાઈ વડવાળા તરીકે ઓળખે છે.
* પિયુ પાલનપુરી "નરોત્તમ"