નેતાજીનું વચન
નેતાજીનું વચન
-રાકેશ ઠક્કર
આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે શહેરમાં ગાંધી પ્રતિમા ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આ વિસ્તારના એક મોટા નેતા પધારવાના હતા. બધાં તેમની રાહ જોઇને ઊભા હતા. નેતાઓ હંમેશા મોડા જ આવતા હોય એની આમજનતાને ખબર હતી.
આખરે નેતાજી આવી ગયા. તેમને આવકાર આપવામાં આવ્યો. તેમણે સૂતરની આંટી ગાંધીજીની પ્રતિમાને પહેરાવી અને સ્ટેજ પર પહોંચી માઇક હાથમાં લઇ બોલવાનું શરૂ કરી દીધું:"...આજે હું ગાંધીજીને સાદર વંદન કરું છું.... જેમને કારણે દારૂની બદી અટકી છે. દારૂબંધીથી અનેક પરિવારો બરબાદ થતા બચી ગયા છે. દારૂ દૈત્ય છે. દારૂનું સેવન અનેક તકલીફો આપે છે. મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે દારૂની લતથી બચજો. દારૂની હેરાફેરીને અટકાવવા પૂરતા પગલાં લેવાઇ લઇ રહ્યા છે. હું તમને વચન આપું છું કે આ શહેરમાં એક ટીપું પણ દારૂનું પ્રવેશવા નહીં દઇએ....."
નેતાજી જરાપણ અટક્યા વગર ભાષણ કરી રહ્યા હતા. ત્યારે તેમનો સેક્રેટરી પાસે ઊભેલા એક સાથી અગ્રણીને કહી રહ્યો હતો:"ભાઇ, મેં એમને ના પાડી કે આજે કાર્યક્રમ છે ના પીશો. ચઢી જાય તો તમને અટકાવવા મુશ્કેલ બને છે. પણ માન્યા જ નહીં ને. રોજ સવારે દારૂ ના પીએ તો એમનો સૂરજ જ ના ઊગે..."