માનવતા
હસતાં રમતાં ૨૦૨૦નું વર્ષ હજુ તો પા પા પગલી ભરતું હતું.આખું વર્ષ અભ્યાસમાં તડતોડ
મહેનત કરનાર દસમાં અને બારમાં ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા હજુ હમણાં જ પૂરી થઈ હતી.
આ બધા વિદ્યાર્થીઓ અને સાથે તેમના વાલીઓએ પણ વેકેશનમાં હરવા ફરવાનો પ્રોગ્રામ ક્યારનો બનાવી
લીધેલ હતો.નાના ધોરણના વિદ્યાર્થીઓ પણ પોતાની
પરીક્ષામાં લાગી ગયા હતા.
પરંતુ ત્યાં જ કોરોના જેવી મહામારીએ
દુનિયાભરમાં પોતાનો પગપેસારો કર્યો.અને આ એક એવો રાક્ષસ હતો કે તેનો પ્રત્યક્ષ સામનો કરવાને બદલે અપ્રત્યક્ષ રહી સામનો કરવાનો હતો.એટલે ભારત સહિત લગભગ પૂરી દુનિયામાં લોકડાઉન જાહેર કરવું
પડ્યું.
આ લોકડાઉન દરમિયાન ઘણા બધાની રોજગારી સાવ બંધ થઇ ગઇ.ઘણાના ઘરના ચૂલા પણ
લોકડાઉન થઇ જાત જો ઘણા દાનવીરો અને સેવાભાવી લોકો ના હોત તો.
૨૦૨૦માં ઘણાએ કોરોનાનો શિકાર બનેલા પોતાના સ્વજનો ગુમાવ્યા તો ઘણાએ વર્ષોથી એક જ
ઘરમાં પોત પોતાના કામકાજને કારણે અજાણ્યા બની
ગયેલા પરિવારજનોને સાથે રહેવા માટેનો સમય મળ્યો.
આ કોરોનાને કારણે એક કામ બહુ જ સારું થયું,મરણ કે લગ્ન જેવા પ્રસંગોએ કોઈ પણ વિધિ કે
જમણવાર મર્યાદિત લોકોની હાજરીમાં જ ઉજવવાનો સરકારે નિયમ કરેલ છે, તેથી મધ્યમવર્ગીય પરિવારે પોતાના પર આર્થિક બોજો કરીને પણ સમાજના રીત
રિવાજો નેં અનુસરવું પડતું તેમાં રાહત થઇ.
આ સાથે આપણે ડોક્ટરો મેડિકલ સ્ટાફ કે સફાઇ કર્મચારીઓને તો કેમ ભૂલી શકાય? જો ડોક્ટર
કે મેડિકલ સ્ટાફે પોતાની ફરજ પરથી મુક્તિ માગી હોત તો દર્દીઓની અને કોરોના પિડીતોની હાલત શું થાત? સફાઇ કર્મચારીઓ પણ પોતાના જાનના જોખમે પણ
પોતાની સેવા બજાવી.વિચારો જો એ લોકોએ પોતાની
ફરજ પર ધ્યાન ન આપ્યું હોત તો કોરોનાના વાઇરસ ફેલાય રહ્યાતા અને અસંખ્ય લોકો તેનો શિકાર બનેલા,
તેનાથી અનેકગણા લોકો ગંદકીના કારણે બિમાર પડત.
આ દરમિયાન મને એક વાત આજીવન યાદ રહેશે.દિવાળીના તહેવારના દિવસો ચાલી રહ્યા હતાં,અમારી શેરીમાં ૫ થી ૧૫ વર્ષ સુધીના લગભગ
વીસેક બાળકો રહે છે બધા બાળકોએ દિવાળીની રાતે
મોડે સુધી ફટાકડા ફોડવાનું અને પછી ડીજે વગાડવાનું
નક્કી કરેલ.અમે રહીએ તે વિસ્તાર શહેરથી સહેજ બહાર આવેલ હોવાથી કાયદાકીય રીતે બહુ વાંધો આવે તેમ ન હતો.પરંતુ દિવાળીના દિવસે સવારે જ અમારી શેરીમાં એક જ ઘરમાં ચાર જણને કોરોના પોઝીટીવ આવ્યો.અને તેમને બધાને ઘરમાં જ ક્વોરનટાઇન કરી ગયા.તેમના ઘરે પણ દસ વર્ષનો અને
બાર વર્ષની એમ બે બાળકો એ પણ બહાર ના નીકળી
શકે.
દિવાળીની રાત હોવા શેરી સૂમસામ હતી મેં
બહાર નીકળી શેરીમાં રમતાં બે બાળકોને પૂછ્યું કે "ફટાકડા નથી ફોડવા?" તો એ બાળકોએ કહ્યું " ના દીદી સામેના ઘરે બા-દાદા અને અંકલ-આંટી ચારેય
બિમાર છે.જો અમે ફટાકડા ફોડીએ તો તેના ધૂમાડા અને અવાજથી તેમને કેટલી તકલીફ પડે? અને એમના બાળકો જે પણ અત્યારે ક્વોરનટાઇન છે એ અમારા મિત્રો છે એમને કેટલો જીવ બળે અને અમને પણ તો એ લોકો વગર ના ગમે.એટલે અમે નક્કી કર્યું છે કે દિવાળી ફ્ક્ત વડીલોના આશીર્વાદ લઈને જ ઉજવવી છે."
આ સાંભળી મને થયું કે ૨૦૨૦એ બાળકોમાં માનવતાના બીજ રોપ્યા છે જે મોટા થતાં વટવૃક્ષ બનશે.
✍️: મેઘલ કિશોરભાઇ ઉપાધ્યાય 'મેઘુ'