યુવાન
યુવાન
આજનો યુવાન અપ્રતિમ પ્રતિભાનો સ્વામી થયો છે. એ જાણે છે કે એના પોતાના ગજા માં શું છે, પરંતુ એ નથી જાણતું કે તે પોતાના ગજા માં શું શું લઈ શકે છે.
જો ઈચ્છે તો શું ન કરી શકે આજનો યુવાન,આજનો યુવા પોતાનું ઘર કે શહેર જ નહીં સમગ્ર દુનિયાનો નકશો ફેરવી શકવાની ક્ષમતા ધરાવે છે.અરે જો ધારે તો સમગ્ર ભારત વર્ષમાં માત્ર 24 કલાકમાં કૌભાંડમાંથી મુક્તિ અપાવી શકે છે.જો ભારત દેશને યુવા નેતાઓના હાથમાં સોંપવામાં આવે તો તે માત્ર એક જ વર્ષમાં દાયકાઓથી ભેગું થયેલું દેણું ચૂકવી શકે છે અને માત્ર બે કે ત્રણ વર્ષમાં અમેરિકા જેવી મહાસત્તા ને પછાડી વિશ્વને પોતાના તાબામાં લઇ શકે છે. આ છે ભારત વર્ષના યુવાનની ક્ષમતા. અચ્છા હું છે વાત કરું છું એ કદાચ અતિશયોક્તિ લાગી શકે, પરંતુ એ વાતને હું અમુક ઉદાહરણો દ્વારા સાબિત કરી શકું છું.
આ રહ્યું ઉદાહરણ નં- ૧: વિશ્વની પહેલા નંબરની વેબ કંપની ગૂગલ. શા માટે ગૂગલ એ પોતાની કંપનીના સર્વોચ્ચ પદ એટલે કે CEO ના પદ માટે ભારતીય મૂળના સુંદર પિચાઈની વરણી કરી?
ઉદાહરણ નં-૨: વિશ્વની સૌથી સફળ સોફ્ટવેર બનાવતી કંપની માઈક્રોસોફ્ટ. માઈક્રોસોફ્ટને તો સમગ્ર વિશ્વમાંથી કોઈપણ વ્યક્તિ મળી શકે. શા માટે ભારતના સત્ય નડેલા ને પોતાની કંપનીનું સુકાન સોંપ્યું?
અરે આવા તો કેટલાય નાના મોટા ઉદાહરણો મળી આવશે જો વિશ્વનો ઇતિહાસ જોવા જઈશું તો. આપણે ઘણીવાર વર્તમાન પત્રમાં વાંચતા હોઈએ છીએ, “ ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક ફલાણાએ ઢીંકનાં ની શોધ કરી.” કેમ ત્યાં ભારતીય વૈજ્ઞાનિક નથી લખાતું? કારણ કે વિશ્વના દેશો આપણા દેશમાંથી સક્ષમતાને ખરીદીને પોતાને ત્યાં લઈ જાય છે.
દેશના યુવાનને પોતાની સુષુપ્ત પ્રતિભાની જાણ નથી. ખરેખર દેશની હકીકત છે કે દેશના યુવાનને અને તેની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને જગાડવાની જરૂર છે. આજની યુવાપેઢી મનના કોઇ એક અંધારિયા ખૂણે એ વાતથી બિલકુલ અજાણ નથી કે જો દેશને થોડી મોકળાશ આપવી હશે તો દેશનું સુકાન કોઈ ઈમાનદાર અને પ્રતિભાશાળી યુવાનના હાથમાં સોંપવો પડશે. બીજી તરફ આ જ યુવાન પોતે રાજકારણ માં જોડાવા વિશે થોડું અતડું વલણ ધરાવે છે. આ સાથે જ અમુક યુવાનો એવા પણ છે જે રાજકારણ તરફ આકર્ષિત થઇ રહ્યા છે પરંતુ આવા યુવાનો નું પ્રમાણ એટલું ઓછું છે કે સમગ્ર દેશમાંથી એકઠા થયા પછી પણ સમગ્ર સરકાર ઉભી ના કરી શકાય. આમ તો અઢળક યુવાનોને રાજકારણમાં પોતાનો સિક્કો સ્થાપી કાયમને માટે પોતાની એક અમીટ છાપ ઊભી કરવાની ઈચ્છા છે, પરંતુ માત્ર ઇચ્છાથી દેશના ચાલી શકે એ કડવી વાસ્તવિકતાથી અજાણ પણ નથી.
નિશંકપણે આજના યુવાનને સાચા રસ્તાની જાણ તો છે પરંતુ તેના પર ચાલી શકવાની ક્ષમતા છે કે નહીં એની પણ જાણ છે જ. આથી જ સત્ય તથા સાચો માર્ગ જાણતો હોવા છતાં એ પોતે જાણી જોઈને કૂવામાં પડવા કે ફાંસીએ લટકવા નથી માગતો. આજનો યુવાન પોતાના મનમાં દોહરો પ્રતિભાવ લઈને ચાલે છે. એ જાણે છે કે સાચું શું અને સારું શું સાથે સાથે પોતે એ સાચા કે સારા માર્ગ પર ચાલવું કે કેમ અથવા ચાલી શકશે કે કેમ એ પણ જાણે છે. એ દેશમાં બદલાવ તો ઈચ્છે છે પરંતુ એ બદલાવની શરૂઆત કરવા નથી ઇચ્છતો.
જરૂર છે આપણે આપણા યુવાધનને અમુક ડરથી દૂર કરવાની. બસ એક વખત આ ડર દૂર થઈ જાય ને તો દેશ ક્યાંનો ક્યાં પહોંચી જાય એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. પરંતુ શરત માત્ર એટલી કે આપણે ખુદને અને આવનારી પેઢીને એ રીતનું ઘડતર આપવું પડશે. એવું ભણતર અને ગણતર તેમજ સમજ પુરા પાડવા પડશે કે જેથી દેશનાં ભાવિ ઘડવૈયાઓ સાચી દિશામાં તૈયાર થાય.
માત્ર વ્યક્તિગત જવાબદારીથી કરેલાં એકાદ પ્રયાસથી સમગ્ર દેશ જો બદલી શકાતો હોય તો એક ભારતિય તરીકે શું આ આપણી ફરજ નથી? એક યુવાન તરીકે તમારા નાના પ્રયાસથી જો દેશને વિશ્વના નકશા પર આગવું સ્થાન મળતું હોય તો આ નાનો પ્રયાસ કરશો ને યુવાનો?
- બ્રિન્દા વ્યાસ