વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંવાદ કૃષ્ણ સાથે

પૂછ્યું કૃષ્ણ એ મને
મંદ મુસ્કાન સાથે,
બોલને શું વાત છે.
આજે કેમ ઉદાસ છે ?

મારા જીવન માં સંઘર્ષ કેમ.?
ઉદ્દેશ્ય શું મારા જીવન નો.?

મારી સામે જોઈ
હસી પડ્યા મુરલીધર
બોલ્યા.
જાણે છે તું ?
હું જન્મ્યો એ પહેલા જ
મને મૃત્યુ આપવા તૈયાર હતા
મારા જ મામા.

હું જન્મ્યો જેલ માં
જીવન આખું સંઘર્ષ માં
દરેક ડગલે પડકાર
જન્મતા જ મા થી
થયો અલગ.
બાર વર્ષે ગોકુળ થી અલગ

જેણે પ્રેમ આપ્યો
એ મા .. યશોદા.
જેને પ્રેમ આપ્યો
એ રાધા ...
ગોપી ઓ અને ગોવાળો
ને પણ છોડ્યા.

મથુરા છોડ્યું અને
દ્વારકા પણ વસાવ્યું.

જીવન માં આટલો સંઘર્ષ
તો પણ કોઈનેય
જન્મકુંડળી નથી બતાવી.

ના કોઈ ઉપવાસ કર્યા
ના ખુલ્લા પગે
ચાલવાની બાધા યે માની
ના ઘરની બહાર
લીંબુ મરચા બાંધ્યા.

મેં તો યજ્ઞ કર્યો
ફક્ત અને ફક્ત કર્મ નો.

યુદ્ધના મેદાનમાં જયારે અર્જુને
ધનુષ્ય બાણ નીચે નાંખ્યા.
ના અર્જુનના જન્માક્ષર જોયા,
ના કોઈ મુહૂર્ત જોયું,
ના તો કોઈ દોરો
કે તાવીજ આપ્યા.

બસ એને એટલું જ કહ્યું.
આ તારું યુદ્ધ છે
તારે જ કરવાનું છે.
હું માત્ર તારો સારથી
કર્મ માત્ર તું કર
માર્ગ હું બતાવીશ.

મારુ સુદર્શન ચક્ર ચલાવી
સંહાર કરી શકત આખી
કૌરવ સેનાનો.
પણ
તારું ધનુષ્ય તું ઉપાડ.
તારા તીર તું ચલાવ.
હું આવી ને ઉભો રહીશ
કોઈ ને કોઈ સ્વરૂપમાં
તારા પડખે તારી સાથે
તારો સારથી બની ને.

દુનિયાની તકલીફોમાં તું જાતે લડ.
હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ.
તુ સારા કર્મ કર.
તારી તકલીફો ને હું હળવી કરીશ.

બસ હું આવું ત્યારે
ઓળખજે મને તું.

મારી ગીતા નો સંક્ષિપ્ત સાર.

નથી જોઈતા તારા કોઈ ઉપવાસ,
કોઈ માનતા કે નથી બાધા જોઈતી.

માત્ર શુદ્ધ કર્મ કર. ખુલ્લાં
મનથી જીવન ને આવકાર.
પ્રત્યેક ક્ષણ ને ભરપૂર માણ.

હું આવતો રહીશ,
બસ...ઓળખજે મને તું ...

- અલ્પા શિંગાળા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ