સૂર્યાર્ધ્ય
સૂર્યાર્ધ્ય
ગુણવંતલાલ પોતાના ઘરની ગેલેરીમાંથી રોજ સૂર્યને અર્ધ્ય આપતાં. આવું હંમેશથી ચાલતું.
પણ એક વખતની વર્ષાઋતુના કોઈ મસ્તીખોર વરસાદ અને પ્રકૃતિની કોઈ અનોખી ક્રિયાના ભાગરૂપે એક જિદ્દી બીજ તેના ઘર સામેની ધરામાં અંકુરિત થઈ ગયું.
પછી તો.. બીજમાંથી છોડ અને છોડમાંથી વૃક્ષ બનવાની પ્રકૃતિની એ સ્નેહાળ પ્રક્રિયાને કોણ રોકી શકે? જેના કારણે એ નાનકડા છોડે વૃક્ષનું રૂપ ધારણ કરી દીધું.
તેથી..
એક સવારે સૂર્યને અર્ધ્ય આપતી વખતે ગુણવંતલાલે વિચાર્યું કે હમણાંથી સૂર્યને અર્ધ્ય આપવાની તેની પવિત્ર ક્રિયામાં આ વૃક્ષ નડતર બની રહ્યું છે.
તેમણે તરત કઠીયારાને બોલવી લીધો. બીજા દિવસથી તેઓ ખુશી ખુશી વિના વિઘ્ને સૂર્યને અર્ધ્ય આપે છે.
પણ ખબર નહિ કેમ? હવે તેમના વિસ્તારમાં વર્ષમાં બે જ ઋતુઓ આવે છે.
-- અનિરૂદ્ધ "આગંતુક"
૯૩૨૮૯૪૭૭૪૧