પ્રકરણ 2
રાધાવતાર...
લેખક શ્રી: ભોગીભાઈ શાહ
પ્રકરણ 2: શ્યામસુંદર ની સ્વપ્નલીલા
શ્રેષ્ઠ સર્જકની કૃતિમાં જકડી રાખે તેવો આરંભ અને જિજ્ઞાસા પ્રેરે તેવો અંત આકર્ષણનું કેન્દ્ર બને છે આ બંને તત્વનો અનુભવ આપણને ભોગીલાલ શાહની રાધાવતાર ના દરેક પ્રકરણમાં થયા વિના રહેતો નથી.
પ્રથમ પ્રકરણમાં શ્રીકૃષ્ણના મનમાં ઉઠેલી દ્વિધાનું અનુસંધાન બીજા પ્રકરણમાં સ્વપ્ન સાથે સાધવામાં આવ્યું છે જેનો નિર્દેશ શીર્ષકમાં જ કરી દેવામાં આવ્યો છે
🍂 મારું સપનું
જાગરણ તમારું
જાગીએ બંને 🍂
એક મનોવૈજ્ઞાનિક તથ્ય પ્રમાણે જ્યારે તમે કોઈ અન્ય વ્યક્તિના સ્વપ્નમાં જાગૃત હોય ત્યારે તમે સુઈ નથી શકતા આ તથ્ય સાથે શ્રીકૃષ્ણનું કહ્યું માનતી યોગમાયાના પાત્રને વણી લેવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણની એક જ ઈચ્છા કે આખેઆખું દ્વારકા રાધા મય બની જાય અને પોતાના જીવનનો અંત સંસ્મરણો થી શણગારાય.....
શ્રી કૃષ્ણનું પાત્ર એટલે દરેક મનુષ્યના સ્વપ્નનું આદર્શ પાત્ર. તે જે મનુષ્ય તરીકે લીલાઓ કરે છે તે માયા છે કે માયા ને લીધે તેઓ લીલાઓ કરે છે તે હજુ પણ વણઉકેલ્યો કોયડો છે.આવી જ લીલાનો પ્રારંભ દ્વારિકામાં થાય છે ,જેમાં તેમની સાથે રુકમણી સહિત બધી જ રાણીઓને પણ પોતાની માયા માં સમાવી લે છે. એવું વાતાવરણ સર્જાય કે શ્રીકૃષ્ણના કહ્યા વિના બધી જ રાણીઓ અને આખું દ્વારિકા રાધાનું નામ જપતું થઈ જાય.
આ પુસ્તકમાં લેખકે પોતાની આધુનિક ભાષા શૈલી વાપરી છે. પૌરાણિક સમય ની વાર્તા પરંતુ તેમાં રહેલી આધુનિક વિચારસરણી ને લેખક પ્રકાશમાં લાવે છે. શ્રી કૃષ્ણનું પાત્ર હંમેશા સરળ પરંતુ તેમની બહિર્મુખી પ્રતિભાને કારણે ઘણી ગેરસમજો પ્રવર્તે છે અને આપણને મુંઝવણમાં મુકી દે છે .તેમના વિશેની આવી ઘણી ગેરસમજો દૂર થઈ જાય છે આ વાંચ્યા પછી.
અહીં નાના નાના પ્રસંગો દ્વારા શ્રીકૃષ્ણના એક પતિ તરીકે આદર્શ વ્યક્તિત્વ ની ઝાંખી કરાવી છે ,તો સાથે સાથે સંપીને રહેતી છતાં સ્ત્રી સહજ નાની-નાની ઈચ્છાઓ અને શ્રીકૃષ્ણ માટેનો પોતાનો પ્રેમ પણ વ્યક્ત કરતી રાણીઓનું ખુબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે,આ બધી જ રાણીઓના પાત્રાલેખન માં લેખક એ ખૂબ જ કાળજી રાખી છે .બધી જ રાણીઓ પોતાનું અલગ અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ ધરાવે છે પરંતુ પોતાની મર્યાદામાં રહીને. એકબીજાના શ્રીકૃષ્ણ પ્રત્યે ના પ્રેમ ના હક ને પ્રેમથી સ્વીકારે છે ક્યાંય મર્યાદા ભંગ થતો નથી.
પૌરાણિક પ્રસંગો ને લેખકે એવી મધુરતાથી નવલકથાનો ઓપ આપ્યો છે કે થોડીવાર માટે આપણને એમ જ લાગે કે આપણે કોઈ રસપ્રદ વાર્તાઓ વાંચીએ છીએ તેમાં માનવ સહજ લાગણી હોય એટલે ખોવાઈ જઈએ છીએ ને ભૂલી જઈએ છીએ કે આપણે યુગ પ્રવર્તક શ્રી કૃષ્ણની માયાને ને માણીએ છીએ.
શ્રીકૃષ્ણ ભલે બધી રાણીઓમાં વહેંચાયેલા પતિ હતા અને હંમેશા સાંસારિક મોહમાયામાં રચ્યાપચ્યા હોય એવું લાગતું આમ છતાં તેમનું હૃદય એક જ નામ ઝંખતું હતું અને એક ચહેરો તેને ફરીથી બાળપણમાં ભૂતકાળમાં ખેંચી જતો હતો.આવી ભાવ સંવેદનાએ શ્રી કૃષ્ણ ના નવીન પાત્રાલેખન ને મમળાવવા રાધાઅવતાર ખોલવું જ રહ્યું.,..
(ક્રમશ)