વહેમ
"આ લગ્ન કોઈ કાળે શક્ય જ નથી, છોકરીને મંગળ છે, સામે મંગળ કે શનિ હોય એવો જ વર જોઈએ, નહિતર....."
ગોરબાપાનાં શબ્દો સાંભળીને એક સન્નાટો છવાઈ ગયો, આ તો કીર્તનનાં લવમેરેજ હતા, જેને તેના માતાપિતા દીકરાની ખુશી સમજીને કરાવી રહ્યા હતા, પણ કીર્તનનાં દાદી નો જ આગ્રહ હતો કે એક વાર બંનેની કુંડળી બતાવી જોઈએ.
અને હવે શું કરવું એ જ કોઈને સમજાતું ન હતું, સૌ ચૂપ હતા, એકબીજાનું મોઢું જોઈ રહ્યા હતા, અંતે કીર્તને જ ખામોશી તોડી અને કહ્યું કે..."જયારે પ્રેમ થયો ત્યારે ક્યાં કોઈ કુંડળી બતાવી હતી? અમે બંને એકબીજાને પસંદ કરીયે છીએ, એકબીજાને સરખા સમજીયે છીએ, એકબીજાની પસંદ /નાપસંદ પણ જાણીયે છીએ, અને જો આ કુંડળીની વાત ન હોત તો તમને સૌને પણ બંસરી પસંદ જ છે તો આવા ખોટા વહેમમાં શું અટવાવવાનું ?? અને વળી જન્મ /મરણ ક્યાં ચોઘડિયા જોઈને થાય છે?? "
કીર્તન ની દલીલ સામે કોઈ કાંઈ બોલી શક્યું નહિ, હા દાદી હજી નારાજ હતા તેના આ નિર્ણયથી, તેમને ડર હતો બંસરીનાં માંગલિક હોવા પર અને તેના કારણે કીર્તન પર મંડરાતા ખતરા પર...!!!
આ વાતને આજે 7 વર્ષ થઈ ગયા છે, દાદીના ખોળામાં આજે 4 વર્ષનો ધ્રુવ રમી રહ્યો છે, કીર્તન નો પુત્ર...!! અને સૌ સલામત છે, ખુશખુશાલ છે.
પારૂલ ઠક્કર "યાદ"