પ્રિયે કેવા?
મારા પરમમિત્ર ભરતભાઈ રાઠોડની હજી એક રચના પ્રસ્તુત કરું છું. જે તેમના જન્મદિવસ નિમિતે રચવામાં આવી હતી.
આ રચના વિશે ટૂંકમાં કહેવું હોય તો એક જ વ્યક્તિ પ્રત્યે મનમાં જે ભાવ છે તે પણ રજૂ થાય છે અને સાથે સાથે મનમાં ઉદ્દભવતા પ્રશ્નો પણ. આ રચના અંત્યાનુપ્રાસ અલંકારમાં રચેલી છે.
‘પ્રિયે કેવા?'
પાઠવીએ સંદેશો કાંઇક કહેવા
કર્યા કસૂર આ હૃદયે કેવા ?
મૂલવિએ શબ્દો અશ્રુ જેવા,
મળ્યા અમને તો મિત્રો કેવા ?
રહો છો મૌન સરવર જેવા,
આ તો શાંત ઝરણાં કેવા ?
તમે સમુદ્ર કિનારાની લહેર જેવા,
તો પછી મધદરિયાના તુફાન કેવા ?
તમે તો બાગના સુંદર ફૂલ જેવા,
પણ સ્પર્શ કરું તો કંટક કેવા ?
નિહાળું રણમાં મૃગજળ જેવા,
મન મૂંઝાય અહીં નીર કેવા ?
રહો છો સાથ ચાંદની જેવા,
તો અધવચ્ચે આ અંધારા કેવા ?
ભરબપોર જાણે કે પડછાય જેવા,
સમી સાંજના થતા આભાસ કેવા ?
વનમાં ફરતી જાણે હરણી જેવા,
છતા શિકાર કરતા શિકારી કેવા ?
પ્રભાતના ઝાકળ બિંદુ જેવા,
આંખ સામે આ ધુમ્મસ કેવા?
પ્રીત કરી અજાણ બનતા પ્રિયતમ જેવા,
મળ્યો જો સાચો પ્રેમ તો ‘રાધેય' એકલા કેવા ?
-ભરત રાઠોડ ‘રાધેય'