મૌન પ્રેમ
. *મૌન પ્રેમ.....*
પ્રીતિ મૌન હતી એના હોઠ સિવેલા હતા અને આ મૌન આજનું નહીં પરંતુ છેલ્લા દસ વર્ષથી હતું. એની એ મૌન ભરી આંખો દરવાજા સામે ટગર ટગર નિહાળી રહી હતી,જાણે કોઈના આગમનની અપેક્ષા હોય ! પરંતુ અફસોસ એ દરવાજે એવું કોઈ પણ નહોતું આવતું જે એનું મૌન તોડી શકે અને એના ચહેરા પર સ્મિત લાવી શકે.
એટલામાં પ્રીતિના સસુરજી સુંદરભાઈ આવ્યા, પ્રીતિને આ હાલમાં જોઈ એ પોતાના આંસુ ના રોકી શક્યા. અને રડમસ અવાજે બોલ્યા બેટા , આમ ક્યાં સુધી રાહ જોઇશ? તારી આ હાલત હવે અમે જોઈ શકતા નથી.
પ્રીતિ રડતા રડતા એ જ સિવેલા હોઠે પોતાના રૂમમાં દોડી ગઈ.
સુંદરભાઈના આંખના આંસુ પણ જગ્યા બનાવી વહેવા લાગ્યા અને તેમના નેત્રપટલમાં દસ વર્ષ અગાઉના એ દ્રશ્યો રમવા લાગ્યા. સુંદરભાઈ એમના એકના એક પુત્ર અર્જુન જે આર્મીમાં હતો એના માટે પ્રીતિને દેખવા ગયેલા એ સમય એમની યાદમાં ફરી પાછો તાજો થઈ ગયો. પ્રીતિ એ અર્જુનને જોયા વગર પોતાના પિતાના વચને લગ્ન માટે રાજીખુશી તૈયારી બતાવેલી અને લગ્ન નક્કી થયું , અર્જુન બોર્ડર પર દેશની રક્ષા કરી રહ્યો હતો. બોર્ડર પર તણાવના કારણે જ્યારે
અર્જુન એના લગ્નના આગળના દિવસે રજા લઈ ઘરે આવ્યો, તો પ્રીતિ એ અર્જુન સાથે મુલાકાત પણ કરી ના શકી અને બીજા દિવસે લગ્ન.
લગ્ન માટે જાન લઈ હોશેકોશે અર્જુન પ્રીતિના ઘરે પહોંચ્યો હતો, હજી તો લગ્નની વિધિ શરૂ જ થયેલી અને બોર્ડર પર યુદ્ધ છેડાતા અર્જુનને તાત્કાલિક તેંડુ આવ્યું, લગ્નની વિધિ પૂર્ણ થતાં જ અર્જુન નીકળી ગયો , હજી પણ લગ્ન પછી પ્રીતિ અર્જુનની મુલાકાત શક્ય બની ન હતી. પરંતુ પ્રીતિ તથા તમામ ઘરવાળા ખૂબ ખુશ હતા જાન અર્જુનને લીધા વગર ઘરે આવી ગઈ.
બીજા દિવસે સમાચાર આવ્યા કે અર્જુન સહિત તેમની બટાલિયનનો કોઈ પતો નથી. પ્રીતિ અને સુંદરભાઈ સહિત ઘરના લોકોમાં માતમ છવાઈ ગયો પણ એ લોકો સહેજ પણ માનવા તૈયાર ન હતા કે અર્જુનને કાઈ પણ થયું હશે. એમને મન મનાવી લીધું કે અર્જુન જરૂર આવશે.
આ આશ લગાવે દસ વર્ષ થવા આવ્યા , સુંદરભાઈ એ તો હવે માની લીધેલું કે અર્જુન આ દુનિયા છોડી ચાલ્યો ગયો છે પણ પ્રીતિ આજ પણ એ દરવાજે વાટ નીરખી રહી છે.
શું આજના વાસનાસભર કળિયુગમાં પ્રીતિ જેવો પ્રેમ શક્ય છે? આ જ તો છે પ્રીતિનો મૌન પ્રેમ જે એના હોઠ સિવેલા છતાં આખી દુનિયા જોઈ શકે છે. કદાચ અર્જુન દેશ માટે પોતાની જાતને અર્પણ કરી છૂટ્યો અને પ્રીતિ એના પાછળ એના નિસ્વાર્થ પ્રેમનું તર્પણ કરી રહી છે......
ચિરાગ પાધ્યા
ભદ્રા
સિદ્ધપુર