બાળમજૂરી એક અભિશાપ!
ભારત એ સ્વતંત્ર અને લોકશાહી દેશ છે. ભારતનું બંધારણ ઘણા નિયમોથી ઘડાયેલુ. જેમાં બાળમજુરી નાબૂદીના નિયમો પણ છે,તેમ બાળમજુરી કરાવવા પર પ્રતિબંધ પણ છે.
આજે સરકાર આ બાળમજુરી નાબૂદી માટે ઘણાં પ્રયાસો કરી રહી છે. તે જોઇએ તો મિડિયા,સામયિકો વર્તમાનપત્રો અને જાહેર સભાઓ દ્રારા ગામડે ગામડે અને શહેરોમાં પ્રજા સમક્ષ રજુ કરી રહી છે.
બાળમજુરી એ ૨૧-મી સદીમાં એક વિકટ પ્રશ્ન બનતો જાય છે. મહાત્માં ગાંધીજીએ કહ્યું છે,કે 'નિરક્ષરતા એ આપણા દેશનુ કલંક છે.'અને નિરક્ષરતા નાબૂદી એ તેમનો એક ધ્યેય/વિચાર હતો.
ગાંધીજીના આ વિચારને ચરિતાર્થ કરવા માટે આજે સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે. જેવી કે,'સર્વ શિક્ષા અભિયાન','પ્રૌઢ શિક્ષણ','નિરંતર શિક્ષણ' અને 'ગ્રામમિત્ર' કે 'પ્રેરક' જેવી યોજનાઓ દ્રારા નિરક્ષરતા નાબૂદી માટે ઘણા પ્રયાસો કર્યા,તેમાં સફળતાએ મળી; પરંતુ માત્ર કાગળ પરજ.
આજે આપણે બધાં જાણીએ છીએ કે બાળમજૂરી વધતી જાય છે. જો તેને નાથવામાં ન આવે તો શું થાય?ગાંધીજીનો જે નિરક્ષરતા નાબૂદીનો વિચાર હતો,તે એક વિચાર જ રહી જાય..!
જેમ.....
''માળી અર્ધવિકસિત ફૂલને ચૂટી લે છે,અને ફૂલની જે દશા થાય છે. જે ફૂલને પૂર્ણ વિકસવાની તક ઝૂંટવી લેવાય છે;જેથી તે પોતાની અસલ સુગંધ,અસલી સૌંદર્ય ગુમાવે છે. અને ફૂલહાર કે કોઇ દેવી-દેવતાના મંદિરમાં ચડાવી દેવામાં આવે છે. બાદ તેને ફેંકી દેવાય છે.''
તેમ...
'હજુ ઉગીને ઊભા થયેલા બાળકોએ શાળાના દરવાજા પણ ન જોયા હોય કે નિશાળના પગથિયે પગ પણ ન મૂક્યો હોય; ત્યાંજ આવા બાળકોને મોટી-મોટી દુકાનના માલિકો જાત-જાતનીને ભાત-ભાતની લોભામણી લાલચો આપીને પોતાના વ્યવસાયના ભરડે માનસિક રીતે ભાંગી નાખે છે. આવા બાળકો જીંદગીભર નિરક્ષર અને માનસિક રીતે અવિકસિત રહી જાય છે. તથા બૌધ્ધિક રીતે તેનું જીવન ધૂળધાણી થઇ જાય છે.'
આવી સ્થિતિમાં સબડતા બાળકો વર્તમાન સમયમાં' રેલ્વે સ્ટેશન',' બસ સ્ટેશન' કે 'વિકસિત શહેરોના સર્કલો'પર હાથમાં પાણીના પાઉંચ ભરેલી થેલી લઇને ઘૂમતા દેખાઇ છે. આવા બાળકોની સ્થિતિ કેવી હોય છે?તેનુ વર્ણન કરતું ''બાળમજૂરી-પાણીના પાઉંચે'' માંના કાવ્યમાં થયેલુ છે.
''બાળમજૂરી-પાણીના પાઉંચે''
એક એક રૂપિયે અહીં મસળાઇ છે બાળકો,
બાળ-મજૂરો દેખાઇ છે હજી,પાણીના પાઉંચે.
આડેધડ અહીં-તહીં દોડી રહ્યાં છે બાળકો,
બાળવયી જિંદગી રૂંધાઇ છે,પાણીના પાઉંચે.
અગમની વાણી ચરિતાર્થ કરે છે બાળકો,
બાળ હક્ક અહીં છીનવાઇ, પાણીના પાઉંચે.
ધક્કા - મુક્કી વચ્ચે કચડાઇ છે બાળકો,
બાળકની ફજેતી કરાઇ છે, પાણીના પાઉંચે.
પડે આખડે ને ફરી બેઠા થાય છે બાળકો,
બાળમજૂરો પિંખાઇ છે હજી,પાણીના પાઉંચે.
રેલ્વેને બસ સ્ટોપ પર રંધાઇ છે બાળકો,
દાવપેંચે જિંદગી ફસાઇ છે ,પાણીના પાઉંચે.
દેશનું કલંક બની આ ઘૂંમી રહ્યા છે બાળકો,
પેટ ભરવા આ બાળકોને તે પાણીના પાઉંચે.
-પીયૂષ.આર.આહીર
આ બાળકો તેની બૌધ્ધિક કક્ષાનાં કારણે પોતાની જીંદગીની બરબાદી જાતે વ્હોરે છે,અથવા આવી બરબાદી વ્હોરવાં તેને મજબૂર કરાય છે. પરંતુ આજે વર્તમાન સમયમાં આપણા માટે તે કલંક સમાન છે.આ કલંક દૂર કરવા આપણે સૌએ સાથે મળીને કંઇક કરવું જ રહ્યું !
-પીયૂષ.આર.આહીર