લેખિકા મહેશ્વરી દેવલ ‘દિવ્ય’ મૂળ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના નાનકડા ગામ બિદડાના વતની છે. તેમણે B.A., M.A., B.Ed., M.Phil. ગુજરાતી વિષયમાં કરેલું...More
લેખિકા મહેશ્વરી દેવલ ‘દિવ્ય’ મૂળ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના નાનકડા ગામ બિદડાના વતની છે. તેમણે B.A., M.A., B.Ed., M.Phil. ગુજરાતી વિષયમાં કરેલું છે. તેમણે NET પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરેલી છે. હાલ તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી.નાં અભ્યાસક્રમમાં જોડાયેલ છે. વ્યવસાય સંદર્ભે લેખિકાએ તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં છ વર્ષ સુધી વિઝિટિંગ અધ્યાપક તરીકે કાર્ય કરેલું છે. ‘કચ્છમિત્ર’ દૈનિકમાં તેઓ પોતાના લેખો ‘યુવાભૂમિ’માં રજૂ કરતા રહ્યા છે. પોતાના માતા-પિતા માટે એમણે કશું કરવું જોઈએ, એ વિચારથી પ્રેરાઇને લખેલું એમનું પ્રથમ પુસ્તક એટલે ‘પથદર્શક’. 'પથદર્શક' એટલે જીવનનો સાચો રસ્તો બતાવનાર. અહીં માતા-પિતા બાળકનાં જીવનમાં અમૂલ્ય ભાગ ભજવે છે તેની વાત કરવામાં આવી છે. બાળકને માતા-પિતાથી ડરવાની નહીં, એમનો હાથ પકડી પોતાની બધી વાતો કરવાની જરૂર છે. માતા-પિતા બાળકની સુખ-સુવિધાઓ પૂરી કરવામાં બાળકને સમય આપવાનું ભૂલી જાય છે. બાળકોને પૈસા નહીં, એમનો સાથ જોઈએ છે, એમનો વિશ્વાસ જોઈએ છે, એમની હિંમત જોઈએ છે. બાળકનું સંપૂર્ણ જીવન માતા-પિતાના સંસ્કારો ઉપર આધારિત હોય છે. માતા-પિતાના ઝઘડા જોઈ એ ઝઘડતાં શીખે છે. એમનું સ્નેહપૂર્ણ વર્તન જોઈ તે પ્રમાણે એ વર્તન કરતાં શીખે છે. માતા-પિતા ઉપર આધારિત છે કે એમણે એમના બાળકનું ઘડતર કેવી રીતે કરવું છે. માતા-પિતાએ જે આપણને આપ્યું છે, એમાંથી એકાદ બુંદ એમને આપવાનો એક નાનકડો પ્રયાસ એટલે પથદર્શક.