નવલિકા, નવલકથા, મોટીવેશનલ નિબંધ, કવિતા, બાળ સાહિત્ય, નાટકો, સંપાદન, ટીવી સીરીયલ, વેબસીરીઝ, ફિલ્મ, વગેરે ક્ષેત્રે છેલ્લા ત્રીસ વર્ષથી લખું છું. અત્યાર સુધીમાં મારાં ૨૧ પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે. ૨૦૧૬માં કેતન મુન્શી વાર્તા સ્પર્ધામાં ‘ન્યુઝ સ્ટોરી’ વાર્તાને પ્રથમ પારિતોષિક મળ્યું હતું. સાહિત્યની કેટલીક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું.
Book Summary
આયાસ કે પ્રયાસ વિનાનું સર્જન - આખીયે નવલકથાનું ઘડતર પૂર્વાનુમાન લક્ષ કે સુ-નિયોજિત ઘાટ વગર સહજપણે થતું રહ્યું હતું. બન્યું એવું કે એક દિવસ સર્જક દિમાગમાંથી એક નાનકડી કથાનો આરંભ થયો. લેખકમિત્ર મનહરઓઝાને તે વાંચવા માટે મોકલી, સાથે એક નાનકડો પત્ર પણ જોડ્યો. કોઈ નાવીન્ય સ્ફૂરણાએ નવી જ દિશા ઈંગિત કરી અને મારાથી લખાઈ ગયું. ‘આ નવલકથાનો પ્રથમ હપ્તો મેં લખ્યો છે. પુર્વનિર્ધાર વગરની આ કથાનો બીજો હપ્તો પહેલા હપ્તાના અનુસંધાનમાં તું લખીને મોકલ’ ને પછી એ નૂતન પથની યાત્રા શરુ થઇ. બીજા હપ્તાને ધ્યાનમાં રાખીને ત્રીજો હપ્તો મેં લખ્યો. ચોથો મનહર ઓઝાએ એમ એક પછી એક હપ્તાઓ દ્વારા નવલકથાનો ઘાટ ઘડાતો ગયો. આગળની કથા કેવી લખવી, કેવી ઘટનાઓ ઘટશે, કયાં પાત્રો ઉમેરાશે કે નિષ્કાસિત થશે, તેની ક્યારેય એકબીજાને સુચના નહિ કરવાની નેમ લીધી હતી. આખરે અંતિમ છોર પાર ઊભેલી નવલકથા ‘હર્ષવીણા’ને ક્યાં વિરામ આપવો તે નક્કી કરવા બે સર્જકોએ મળીને વાર્તાનો અંત નક્કી કરી લીધો. જીવનની પૂર્વ સંધ્યાએ સાઈઠના દસકમાં પ્રવેશ્યા બાદ મારું આ સહિયારું સર્જન પુસ્તક સ્વરૂપે પ્રકટ થાય છે ત્યારે તેના નવસર્જનની પ્રસવ પીડાનો હું અનર્ગળ આનંદ અનુભવું છું. આ પહેલાં નાટકો, ગઝલો, ગીતો જેવાં સર્જનો કર્યાં. નાટકોનું દિગ્દર્શન કરીને તેને રંગભૂમિ ઉપર જીવંત કર્યાં. નિવૃત્તિ પછી લખાયેલી આ નવલકથા ‘ઈ-બુક’ સ્વરૂપે ‘શોપીઝન’એપ પર હપ્તાવાર પ્રકાશિત થઇ રહી છે. પેઇડ કેટગરીમાં મારી એક નવલકથા ‘તૃષાયન’ પણ છે. મારી આ સર્જન યાત્રા હું ચાલુ રાખવા માગું છું. યાત્રાને ગતિમાન રાખતાં વાચકોનો આભાર. આ પળે એક વાત કહેવાની ઈચ્છા થાય છે. - દિનેશ જાની ‘ડેન’
નોખી નવલકથા અનોખો પડકાર - દિનેશ જાની ને હું અમે વર્ષો જુના મિત્રો છીએ. અમારા બંનેનો ભેટો સરકારી નોકરીના ઇન્ટરવ્યુ દરમ્યાન અચાનક જ થઇ ગયેલો. તેના અને મારા શોખ સરખા હોવાને લીધે અમારી દોસ્તી જામી. અમે જયારે મળીએ ત્યારે અમારા વચ્ચે સાહિત્યની વાતો અચૂક થાય. ૧૯૮૧થી સાહિત્ય સર્જનની શરૂઆત મેં ત્રિઅંકી નાટક લખવાથી કરેલી. મારા આ પહેલા નાટકનો પહેલો શો અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં હતો. તે સમયે પણ ખાસ મારું નાટક જોવા દિનેશ રાજકોટથી આવ્યો હતો. અધૂરામાં પૂરું તે નાટકમાં હું મુખ્ય ભૂમિકા ભજવતો હતો. ‘સુરજ આથમ્યા પછી’ નાટક સામાજીક હતું. જોકે ત્રણ શો કર્યા પછી તે લાંબુ ચાલ્યું નહિ. તે પછી મેં બીજું એક સસ્પેન્સ નાટક ‘ચીસ’ લખ્યું. તે પણ ચાલ્યું નહિ. નિરાશ થઈને મેં લખવાનું છોડી દીધું. એક બાજુ મેં નાટકો લખવાના છોડી દીધાં અને બીજી બાજુ દિનેશે એકાંકીઓ લખવાનાં શરુ કર્યાં. એટલું જ નહિ, જાતે દિગ્દર્શન કરીને તેને તૈયાર કર્યા. દિનેશ તેનાં આ નાટકોને અલગ અલગ કોમ્પિટિશનમાં લઇ જવા લાગ્યો અને તેમાં તેના નાટકોને ઇનામો પણ મળવા લાગ્યાં. પણ આ નાટકોનો મોંઘો શોખ ક્યાં સુધી પોષાય? છેવટે તેણે પણ થાકીને નાટકો લખવાનાં અને ભજવવાના બંધ કરી દીધાં. ૧૯૮૭માં અમદાવાદ શિફ્ટ થયા પછી ફરીથી હું નાટકો સાથે જોડાયો. ત્યારબાદ ‘ઈસરો’ અને ‘દુરદર્શન’ સાથે લેખક તરીકે જોડાયો. તેમાં થોડાંક વર્ષો લખતો રહ્યો. તે પછી થોડાંક વર્ષો લખવાનું છોડી દીધું. ૨૦૦૫માં ઓસ્ટ્રેલીયા જવાનું થયું. ત્યાંથી પાછાં આવ્યા પછી ૨૦૦૯માં ઓસ્ટ્રેલીયાના પરિવેશમાં એક નવલકથા ‘ટર્નીંગ પોઈન્ટ’ લખી. અને ત્યારબાદ હું મુદ્રણ માધ્યમમાં લખવા લાગ્યો. દિનેશે પણ લખવાનું બંધ કરી દીધું હતું. વચ્ચે ક્યાંક ક્યાંક ટે કવિતાઓ લખતો. જોકે અમારી મિત્રતામાં ક્યાય ઓટ આવી ન હતી. બે વર્ષ પહેલાં અચાનક દિનેશે એક નવલકથાનું પ્રકરણ લખીને મને મોકલાવ્યું. સાથેના એક પત્રમાં તેણે કેટલીક શરતો લખીને મને ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જ મુજબ મારે બીજું પ્રકરણ મારી રીતે લખવાનું હતું. નવલકથાનો પ્લોટ કે વાર્તા નક્કી ન હોવા છતાં મારે લખવાનું હતું. મને થયું, ‘ચાલો આ નવી રમત પણ રમી લઉં. બહુ બહુ તો શું થશે? નોવેલ નહિ લખાય એજ ને!’ અને દિનેશની એ શરતો મુજબ અમે બંન્નેએ નવલકથા લખી અને તે પણ સામાજિક થ્રીલર. આમ અમારો આ સહિયારા લેખનનો પ્રયોગ સફળ થયો. અમારા ધાર્યા કરતાં આ નોવેલ સારી રીતે અને ઝડપથી લખાઈ છે, જેનો અમને આનંદ છે.વાચકોને પણ અમારો આ પ્રયોગ ગમશે તેવી આશા છે. અમારી આ નોવેલને ડીજીટલ પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ ઉમંગભાઇ ચાવડાનો અને શોપીઝનનોઆભાર.- Manhar Oza