આરતીબા એચ.ગોહિલ. ' શ્રી ' ઉપનામ થી લખું છું. બેઝીકલી ગણિત વિજ્ઞાન શિક્ષિકા. મહારાજા શ્રી કૃષ્ણ કુમાર દ્વારા સ્થાપિત શાળા- શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાંથી નિવૃત શિક્ષિકા. શબ્દના સથવારે કાવ્ય, લઘુકથા, વાર્તા, નિબંધ, લઘુનવલ થકી સંવેદન રજૂ કરું છું.
Book Summary
લઘુનવલની કથા જે એક બિંદુ સમાન હોય તે સંકેતાત્મક રીતિએ આછા અછડતા પ્રસંગ પાત્રથી ગૂંથવાની હોય છે. બધું જ સંયત હોવું ઘટે. એમ કથા સંપૂર્ણ કલાકૃતિ બનવી ઘટે. ‘હિલ્લોલ હકારનો’ એ રીતે કલાકૃતિ બની છે! કથાને ઉજાગરા કરવા પરિવેશ કોરોનકાળ લાગે, પણ છે ડૉ.વિપુલના અનુરાગની કથા. મહામારીનો સમય હોઈ દુખદ ઘટનાઓ બને છે, છતાં ભાવકને આનંદ આપે છે. એજ કથાનું સાચું સંક્રમણ. આરતીબા ગોહિલે એ આબાદ ઝીલ્યું છે! બધું સંયત શૈલીથી કહેવાયું છે જે લેખિકાની અભિવ્યક્તિની કમાલ છે. ડૉ.વિપુલને 'પરીશા'ની સ્મરણસેરના જે અનુભવ થાય છે તે હિલ્લોલમાં પરિવર્તિત થયા છે. પણ મુખર નહીં. વિપન્નકારી ઘટનામાંથી 'હકારનો હિલ્લોલ' કથાનાયક મેળવે છે જે આરતીબા ગોહિલની સર્જકદ્યુતિનો ઉઘાડ છે.
શ્રી પ્રફુલ્લભાઈ રાવળ. (તંત્રી શ્રી, 'કુમાર'.) *** આ લઘુનવલની કેટલીક વિશેષતા: લેખિકા નિવૃત શિક્ષકા છે. છતાં આરોગ્યક્ષેત્ર, તેની ટેક્નીકલ ભાષા, હોસ્પિટલના માહોલનું વિશિષ્ટ જ્ઞાન અને તેનું અસરકારક નિરૂપણ, આગવી કલાત્મક રીતે પ્રસ્તુત કરી છે. બીજું, કોરોના જેવી મહામારી વિષયક કથાવસ્તુનું સુચારુ આલેખન. વળી લેખિકાની આ પહેલી અને સ્પર્ધામાં પુરસ્કૃત થયેલી લઘુનવલ છે. 'હિલ્લોલ હકારનો’ આ રીતે વિશિષ્ટ બની છે. લઘુનવલના પાત્ર 'પરીશા'નું આબેહૂબ વર્ણન પરીશાને મન:ચક્ષુ સમક્ષ ઊભી કરી દે છે, તે લેખિકાએ પ્રાપ્ત કરેલી લખાણની બારીકી દર્શાવે છે. એક નવા જ વિષયવસ્તુ સાથેની એક બેઠકે વાંચવા પ્રેરે તેવી સુંદર સામાજિક અને રસપ્રદ લઘુનવલ આપવા બદલ આરતીબા ગોહિલને અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ સાથે, અસ્તુ.
શ્રી વિનોદ અમલાણી (નાટ્યકાર, કોલમિસ્ટ, લેખક, આસિ. ડાયરેકટર SBI - ગાધીનગર.)