‘અતીતરાગ’ સીરીઝ લખવાનો મૂળ આશય મારું ફિલ્મો પ્રત્યેનું પાગલપન જેવું ફીતુર તો ખરુ જ. પણ, આ શ્રેણીની એક એક કડી લખતી વેળાએ, હું એ અતીતની ગલીયારીમાં શોધ્યા કરું, મારા દાદાના પ્રતિબિંબને. અને પોષ્યા કરું, માયાનગરી મુંબઈ શહેર પ્રત્યેના મારા ભાવી સપનાઓને, અને સાથે સાથે મમળાવ્યા, મેં મારી યુવાવસ્થામાં ફિલ્મી વ્યવસાય સાથે ગાળેલાં એ ત્રણ દાયકાના અનેક સંસ્મરણો. ‘અતીતરાગ’ લખવા પાછળનું બીજું એક ખાસ કારણ એ પણ છે કે, આયુષ્યના સાત દાયકા પાર કરી ચુકેલો એક એવો મોટો સિનેપ્રેમી સમુદાય, કે જેણે ફિલ્મી પરદો જોયો તે વાતને બેથી અઢી દાયકાનો સમય વીતી ગયો હશે, અને જે વર્ગને સ્માર્ટ સેલ કે, સોશિયલ મીડિયા જોડે સ્નાનસૂતકનો‘ય સંબંધ નથી, એવો સમુદાય, જયારે આ ‘અતીતરાગ’ની એક એક કડી વાંચશે, ત્યારે તેના અજીજ અતીતને મન ભરીને મમળાવશે, એ વાતમાં કોઈ બેમત નથી.