‘હમેં તુમસે પ્યાર ઇતના’ નવલકથાના આરંભ પહેલાં ત્રણ નવલકથા લખાઈ ચુકી હતી. અત્યાર સુધીમાં લખાયેલી કુલ સાત નવલકથામાંથી છ નવલકથા પ્રણય સંબંધ પર આધારિત છે. અને આ છ નવલકથામાંથી આ એક જ નવલકથા એવી છે, જેનો અંત વાંચકો હાશકારો આપે તેવો છે, બાકીની પાંચ નવલકથાના અંતે વાંચકોને આંચકો જ આપ્યો છે. મારી દરેક નવલકથાનું કેન્દ્રબિંદુ સ્ત્રી જ રહી છે. પછી તે (૧) ‘ક્લિનચીટ’ની અદિતી મજુમદાર (૨) ‘કહીં આગ ન લગ જાએ’ની મીરાં રાજપૂત (૩) ‘લાલની રાણીનું આધાર કાર્ડ’ની તરુણા જાદવ (૪) ‘હમેં તુમસે પ્યાર ઇતના’ની મેઘના વોરા,(૫) ‘જીસ્મ કે લાખો રંગ’ની આરુષી ઈનામદાર (૬) ‘એક ચુટકી સિંદૂર કી કિંમત’ની વૃંદા સંઘવી યા દેવલ રાણા કે પછી (૭) ‘સજન સે જઠ મત બોલો’ની સપના ચૌધરી હોય દરેક પાત્ર એટલા સશક્ત છે કે, જેણે સમગ્ર નવલકથામાં પ્રાણ પૂર્યા છે. સાત નવલકથામાંથી આ નવલકથા સૌથી ટુંકી છે, માત્ર પંદર પ્રકરણની. મારી દ્રષ્ટિએ મને આ નવલકથાનું સૌથી ગમતું અને સબળું પાસું છે, મેઘના વોરાનું જીવંત કિરદાર, જે પ્રથમ ત્રણ પ્રકરણમાં આલેખાયેલું છે. અને એ પછી વાર્તામાં આવેલાં અણધાર્યા વણાંક બાદના મેઘના વોરાની વેદના વાંચકના ગાળામાંથી એક સિસકારો બોલાવી દેવા માટે પર્યાપ્ત છે. કદાચને લાંબા કાળક્રમે મારી સર્જનસૂચીમાંથી આ નવલકથાનું સ્મરણચિત્ર ધૂંધળું થઇ જશે પણ, ‘મેઘના’ અને ‘રાજન’ બન્નેના ગંગા જમુના જેવા અનેરા સંગમતીર્થ જેવું ચિત્ર સદાય માટે મારાં સ્મૃતિપટલ પર અંકિત રહેશે.