સ્નેહ અને સંપદાના સંપ્રદાયને સાંકળતા સેતુનું મધ્યબિંદુ એટલે, ‘એક ચુટકી સિંદૂર કી કિંમત.’ કંઈક અંશે અંગત જીવન સાથે વણાયેલા અણધાર્યા વણાંકને સમજવાનો અને સમજાવવાનો યથાર્થ શાબ્દિક પ્રયત્ન કર્યો છે. નિરાકાર છતાં શબ્દદેહ ધારણ કરીને મિલિન્દ, વૃંદા, દેવલ, કેશવ, જશવંતલાલ, જગન રાણા, શશાંક સંઘવી અને કેસર જેવા આજીવન અવિસ્મરણીય પાત્રોએ મારી આવરદા વધારી દીધી. પ્રકરણ દર પ્રકરણ કાલ્પનિક છતાં રોજિંદી જિંદગી સાથે વણાંયેલા સહજ લાગતાં ઘટનાક્રમના દરેક વણાંક પર પ્રેમ અને પૈસા બન્નેએ એકબીજાની મહતાને માત આપવાં પરસ્પરને જબ્બર ટક્કર આપી છે. સર્વ સામાન્ય દ્રષ્ટિકોણથી જુઓ તો, પ્રેમ અથવા પૈસો, ટોચ પર હોય કે તળમાં તેનો તાગ લાગાવવો અશક્ય છે. પણ મારું અંગત મંતવ્ય છે કે, આજની વ્યહવારુ વિશ્વમાં તમારું અસ્તિત્વ ટકાવવા કે ચલાવવા તમારાં ખિસ્સામાં એવી મુદ્રાનો સિક્કો જરૂરી છે કે, જેની એક તરફ સંપતિ અને બીજી તરફ સંપતિ અંકિત હોવી જોઈએ. પણ સદ્દભાગ્યે મારી કને ત્રણ બાજુનો સિક્કો છે. જેની એક તરફ સ્નેહ, બીજ તરફ સંપદા અને ત્રીજી તરફ શબ્દશ્રીની મહોર અંકિત છે. અને આ શબ્દશ્રીની બાજુ એવી ઉજળી અને ઊંડી છે કે, જેના કારણે હું સ્નેહ અને સંપદાના સંજીવની સમા જીવાદોરીના મધ્યબિંદુ પર સભાનતાથી સંતુલનની સાથે સાથે તટસ્થ મધ્યસ્થતા જાળવી શક્યો છું. ખાસ તો ગિરનારની ઉંચાઈ જેટલો ગર્વ એ વાતનો છે કે, મોડે મોડે પણ આ જાત ઉલેચીને ઉજળી કરેલી બાજુનું બીજ જ આ નવલકથાનું કથાબીજ છે. એ બીજને આજે હું મારાં શબ્દવનને શોભાવતા વિશાળ વટવૃક્ષ સમું જોઈ રહ્યો છું. જે બીજ અંકુરિત થઈ ફૂલ્યો, ફાલ્યો શબ્દવન બન્યો, એકમાત્ર ‘કિરણ’ની આશથી. મારી ‘કિરણ’ જેના પરિચય અને પ્રકૃતિ માટે મારી સમજણ અને સંસારનો શબ્દકોશ બન્નેનો પનો આજીવન ટૂંકો રહેશે. નરી આંખે નજરે ન ચડે તેવો પાતળી ભેદરેખા જેવો બારીક તફાવત છે, પ્રેમ અને પૈસાની સમાંતર રેખા વચ્ચે, એ તલભારના તફાવતને બારીકાઇથી અવગત કરવવાનો પ્રયાસ કર્યો છે, મારી આ નવલકથા દ્વારા, અને મારી સર્જનયાત્રામાંથી ચૂંટેલા શ્રેષ્ઠ શબ્દસુમન અર્ચના સાથે અર્પિત કરું એ ‘કિરણ’ ની સ્નેહભીનીઆશને. એક ચુટકી સિંદૂરની માત્રા મહી સમાયેલા, સંચવાયેલા સમર્પણના વજન સામે તો એવરેસ્ટનું કદ પણ ટૂંકું પડે. પરિત્યાગની પરિભાષા સમજાયા પર્યંત જ આયખાના દાખલાનો ઉકેલ જડે. અર્થબંધનના શિરસ્તાથી અનુબંધ આઝાદ છે. ઈશ્વરીય આશિર્વાદ સમા ઈશ્ક અને ઈમાનને સૃષ્ટિભરની સંપતિ હજુ સ્પર્શી પણ નથી શકી. ‘પ્રેમ અને પૈસો...’ જે સર્વ સામાન્ય વિષય વસ્તુથી સંસારનો કોઈ વ્યક્તિ અછૂતો નથી, તેના પર હું લખી લખીને શું લખું? છતાંયે મારી સમજણની સીમાની મર્યાદામાં રહી, વિશાળ વાંચકવર્ગની ભાવના,સંવેદનાને આહત કર્યા વગર પ્રેમ અને પૈસાની ગરીમાને તટસ્થ ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.