ભાઈશ્રી મહેશભાઈ રાઠોડ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા ગામના વતની છે. તેઓ ગદ્ય-પદ્ય બંનેમાં સુંદર સર્જન કરે છે. છેલ્લા બે વરસથી તેમના કાવ્યસર્જનની એક એક રચના મને માણવા મળી છે. જેનો મને સવિશેષ આનંદ છે. મને પૂર્ણ શ્રદ્ધા છે કે મહેશ રાઠોડ "સ્નેહદીપ" સાહિત્ય જગતમાં એક દિવસ મોટું કાઠું કાઢશે. તેમની કવિતા ઉપર સારી પકડ છે. એ જોઈ મેં સાહિત્ય સર્જન માટે વારંવાર ઢંઢોળ્યા છે. એમનું અઢળક સાહિત્ય પુસ્તક સ્વરૂપ બને તે માટે મારી ઉઘરાણીને માન્ય રાખી. મહેશભાઈ પોતાની કવિતા "સ્નેહદીપ" તખુલ્લસના નામે લખે છે. તેમના કાવ્ય સંગ્રહનું નામ “ઉરઝરણ” કેટલું ઉમદા છે! એમના મનમંદિરમાં વિચારોનો પ્રાદુર્ભાવ થયો અને ઉરમાં સ્થિત થયા પછી જે ભાવ ઊર્મિઓનાં ઝરણ રૂપે અવતરણ પામીને તેમાંથી શબ્દદેહ રૂપે જે રચનાઓ પ્રગટ થઈ છે, એનું નામ છે "ઉરઝરણ". તેમની બધી જ રચનાઓ મેં વાંચી છે. તેમની રચનાઓમાં અંતરની ઊર્મિઓની રમણીયતા અને લાઘવતાનાં દર્શન થયા વિના રહેતા નથી. દરેક કવિતા વિશે વાત કરવા જઈએ તો એક પુસ્તક લખાય. તેમની પ્રત્યેક રચનાઓમાં પીડા, વેદના, સંવેદના અને લાગણીઓનાં ઘોડાપૂર વહે છે, તેથી તો હૃદયને ઝંકૃત કરે છે. - જગદીશ રથવી "સ્નેહબંસી"