બિલીમોરાના વતની તથા લગભગ ચાલીસ વર્ષ શિક્ષણ જગત સાથે સંકળાયેલા રહ્યાં પછી હાલ નિવૃત્ત જીવન દુબઈમાં વિતાવી રહ્યાં છે. એવા દુબઈમાં રહીને પણ ગુજરાતી સાહિત્યમાં રસરૂચિ ધરાવનાર અને ગુજરાતી સાહિત્યની અનન્ય વિકાસ ગાથામાં પોતાનું યોગદાન આપવા માટે તથા તેના સંવર્ધન માટે પોતાની કલમ થકી વિચારોને વાચા આપી આ પુસ્તકનું નિર્માણ કર્યું, તેવા માતા પુષ્પા અને પિતા પરમાનંદની નાની પુત્રી દ્વારા તૈયાર થયેલ પુસ્તક ‘પુષ્પાની શોભા’ના લેખિકા શોભા કિશોરભાઈ મિસ્ત્રી ‘અક્ષય’ના માનસ વિચારોની કલ્પનાથી રચાયેલ પુસ્તકમાં આપને અનોખી વાર્તાઓ માણવા મળશે. પુષ્પાની શોભામાં વિવિધ શીર્ષક હેઠળ સમાજમાં બનતી વિવિધ ઘટનાઓને, બનાવોને, પ્રવર્તતી પરિસ્થિતિઓને ખૂબ જ સરસ રીતે વાર્તાનાં રૂપમાં ઢાળીને તેને રજૂ કરેલ છે. આ પુસ્તકમાં આપને સામાજિક વાર્તાઓમાં પ્રેમ, આત્મીયતા, સંવાદિતા, કરુણા, સ્નેહ, રોમાંચ અને રોમાન્સ સાથે, જીવનની તમામ વાસ્તવિક બાબતોનું નિરૂપણ થયેલું માણવા મળશે. વાચક એક પછી એક તમામ વાર્તા વાંચવા માટે મનને રોકી નહીં શકે. કઈ વાર્તા વધુ ગમી? તે કહેવું પણ મુશ્કેલ પડશે. તેની મારી ખાતરી છે. કસાયેલી કલમ અને વર્ષોના અનુભવી તાણાવાણાથી ગૂંથેલી આ વાર્તાઓ જેવી કે મા દીકરીની જોડી, વીરાંગના, માતૃપ્રેમ, પહેલું સંતાન, મહિષાસુર મર્દિની, કન્યા વિદાય જેવી સ્ત્રી સશક્તિકરણ વાળી વાર્તાઓ વાંચતાં આપણને પણ માન થશે. માનવીય ગુણોને ઉજાગર કરતી વિવિધ વાર્તાઓ જોવા મળશે. સાંપ્રત સમયમાં જે કંઈ આપણી આજુબાજુ બની રહ્યું છે તે સર્વ બાબતોને ઉજાગર કરતું આ પુસ્તક છે. શોભાબહેન આપના વરદ હસ્તે આવા અનેક વાર્તા સંગ્રહ સમાજના ચરણે સમર્પિત થાય ને તે વાંચી વાચક મિત્રોને એક અલગ નવી રાહ, નવી દિશા મળે અને આપના પાત્રો થકી વાચક માનવ સંવેદનાને હકીકતમાં સમજી શકે. એવી અનેક શુભકામનાઓ સહ, અસ્તુ. - કિરણબેન શર્મા ‘પ્રકાશ’