મારા કાવ્ય સંગ્રહ ‘દિવ્ય કિરણો’ને ઘણો સારો પ્રતિસાદ મળ્યો. આ પછી મેં ‘નમસ્કાર ગુજરાત’ સમાચારપત્રમાં આવતાં મારા લેખોનું સંકલન કરી ‘ગૃહિણીની નજરે’ પુસ્તક પ્રકાશિત કર્યું છે. મારું આ પુસ્તક એક સામાન્ય ગૃહિણીની નજરને સમાજના દરેક નબળાં-સબળાં પાસાંઓને આવરી લઈ તૈયાર કરાયેલ છે. એક ગૃહિણી ઘરની ચાર દીવાલોમાં રહીને પણ સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે તે વાતને મેં મારી કલમ અને શબ્દોના સથવારે તમારી સમક્ષ રજૂ કરી છે. મેં મંઝિલની ફિકર ક્યારેય કરી નથી અને હંમેશાં રસ્તાઓ સાથે જ દોસ્તી કરી. જીવનની તમામ કસોટીમાં ખરા ઉતરવાના પ્રયત્નો સાથે, સમયને વેડફ્યા વિના ધાર્મિક ગ્રંથોના સથવારે કન્યા રત્નને સુખના સરનામે સત્યની તાકાત અને સંસ્કારનો કરિયાવર આપી, પુસ્તકોને મિત્ર બનાવવાનો એક અલગ દૃષ્ટિકોણ આપીએ. બધાને બધું આવડે તે જરૂરી નથી પરંતુ સારા-માઠા પ્રસંગે મર્યાદા અને માફીને યોગ્ય રીતે સમજીને તૂટતાં સંબંધો બચાવી લઈએ. મનની અંદર રહેલી મેનકાનો ત્યાગ કરી ધર્મ અને ભક્તિ સાથે થોડું હકારાત્મક વિચારીએ, ચાલો અંતકાળ આવતાં પહેલાં થોડું જીવી લઈએ. - પૂર્વી પટેલ 'pk' (સુરત)