લોકભારતી સણોસરાનો વિદ્યાર્થી
"સ્નેહાક્ષર "કાવ્ય સંગ્રહ
"મારા લાડકવાયા "ચરિત્રગ્રંથ અને "જોગાનુજોગ "નવલકથા પ્રકાશિત થયેલ છે.
Book Summary
મારું સાહિત્ય જગત મારી આસપાસનો સમાજ છે, એમાં જીવતી માનવજાત છે. એનાં સ્પંદન, એની ભાવુકતા, એનાં સપનાં, એની વેદના, એની અસ્મિતા મને લેખન કરવા ખેંચી રાખે છે. માનવજીવન સાથેની જીવંત શ્રેણીમાં મેં મારી આ છઠ્ઠી નવલકથા ‘પીનુ પ્યારે’ લખી છે. આ સંઘર્ષ કથા છે કે કમનસીબીની વાત છે, તે સમજાતું નથી. પરિશ્રમ ભારોભાર અને તોય પરિણામ શૂન્ય! બચપણથી આર્થિક ઉપાર્જન માટે મથતા રહેતા યુવાનને છેક ઘડપણ અડી ગયું તોય એ બે પૈસા ન કમાયા એની વિકટ ઘટનાઓથી ભરેલી સંઘર્ષ કથા છે. બીજી તરફ પાંચ વખત સગર્ભા બનેલ ને એમાંથી એકપણ સુવાવડ ન થયેલ, દરેક વખતે પાંચ- છ મહિને થયેલ કસુવાવડની વંધ્યત્વની કરુણ કથા છે. મા બનવાના ઓરતા તો એને પણ છે, પરંતુ વારંવાર દવાખાનાની દોડાદોડ, વારંવાર ગર્ભાશયની ચૂંથાચૂંથથી થાકેલી એ નારી કરગરી કહે છે, "મને હવે વારંવાર ચૂંથાવરાવીશ નહીં." પોતાને પિતા બનવાના અભરખાને રોકી ન શકતો કથાનાયક વારંવાર બાળક ઝંખે છે, ત્યારે એ સ્ત્રીના મોંઢેથી કડવી વાત નીકળી જાય છે, "હું કોઈ કારખાનું નથી કે તને બાળક જણ્યે જ આપું." બસ, આ છે આ નવલકથા. નારી પાત્રોનું આલેખન સરળ છે, એને અભિવ્યક્ત કરવા માટે અનેક ઉપમા, અલંકાર, રૂપકો મળી રહે છે, પણ પુરુષને માટે લખવું અઘરું છે. એની સાથે સામાન્ય રીતે પરિશ્રમ, સંઘર્ષ, કઠોરતા અને સહનશીલતા જેવા માપદંડ હોય છે. મારે આ કથાના નાયકને એના ભાવપ્રદેશમાં રજૂ કરવા માટે મુદિતા નામની કાલ્પનિક નારીની વાત મૂકવી પડી છે. છેવટે તો લેખક છું, નારી પાત્ર તરફ જ ઢળી જવાય છે. મિત્ર જેવા કથાનાયકના જીવનની ચીરફાડ કરતાં મને રુધિર વગરનો માણસ મળ્યો, દધિચિનાં હાડકાં જેમ માત્ર પરમાર્થ ભરેલી એની હાડપિંજર જેવી જિંદગીમાં ભલે તે કશું જ ન પામ્યા છતાં સૌને ખૂબ પમાડ્યું છે. આ નવલકથાનું છેલ્લું પ્રકરણ એમની જીવનસફરનું મુખ્ય પાનું છે. આપ સુજ્ઞ વાચક છો. આપ સતત હૂંફ અને માર્ગદર્શન આપી મારા સાહિત્ય સર્જન માટે બળ પુરું પાડો છો તે માટે આપનો ૠણી છું.