જીવન વીમા કોર્પોરેશનના નિવૃત્ત ડિવિઝનલ મેનેજર ,જૂની ફિલ્મો અને ગીતોના અનહદ શોખીન,રફી ,હેમંતકુમારના અવાજમાં પુરસ્કાર મેળવી ચૂકેલ ગાયક,જર્નાલિઝમ સર્ટિફિકેટ ધારક,વર્તમાનપત્રમાં અને સામાયિકોમાં ફિલ્મ સાહિત્ય વિશેના અને હાસ્યલેખનના લેખક અને હિન્દી ઉર્દુ શાયરી અને કાવ્યોના સંગ્રહ બહાર પાડી ચૂકેલા કવિ ....
Book Summary
વીસ અલ્પકાલીન ગીતકારો, પંદર મધ્યમ શ્રેણીના, દસ સફળ ગીતકારો અને પાંચ સફળતમ ગીતકારો બાદ ટોચના કવિ ગીતકાર શૈલેન્દ્ર અને હવે છેલ્લે શિખર પર બિરાજેલા મહાન શાયર અને ગીતકાર સાહિર લુધિયાનવી વિશેના બે પુસ્તક મારી આરતીની થાળીમાં બાકી રહ્યા છે, જે લઈને વાંચકોને અર્પણ કરતા હું અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યો છું. આ બે પુસ્તકો મારા લેખન દ્વારા પ્રકટ કરીને તેમને યથાશક્તિ સ્મરણાંજલિ આપવાનો નમ્ર પ્રયત્ન કરી રહ્યો છું. મહાન કવિ અને ગીતકાર શૈલેન્દ્રના પુસ્તક બાદ આજે અંતમાં મારા સૌથી પ્રિય સાહિર એક માત્ર એવા ગીતકાર છે જેમના વિષે પુષ્કળ લખાયું છે. તેમની શાયરી વિષે, તેમના જીવન વિષે, તેમની ફિલ્મી જિંદગી વિષે કે તેમની વિશિષ્ટતાઓ વિષે તેઓ હંમેશા મીડિયામાં ચમકતા રહ્યા છે. તેમના વિષે કદાચ ઇન્ટરનેટ પર વિડિઓ પણ સૌથી વધારે બન્યા હશે. તેઓ એક એવા શાયર ગીતકાર હતા કે જેમને મૃત્યુ બાદ પણ અનન્ય માન અને મરતબો મળ્યાં હતાં… જો કે એ એક હકીકત છે કે માન , આદર કે રૂતબો એમ ને એમ કોઈને મળી જતો નથી. આ બધી વાત વાંચક દ્વારા આ બન્ને પુસ્તક વાંચવાથી સિદ્ધ થશે. સાહિરની વાતો મેં કૂલ ચાર પ્રકરણમાં સમાવી છે. પહેલા પ્રકરણમાં મેં તેમની જીવનકથા વર્ણવી છે. જેને ત્રણ ભાગમાં વહેંચી છે. જેમાં તેમનું દયનીય બાળપણ, સંઘર્ષપૂર્ણ યુવાની, નિષ્ફ્ળ પ્રેમની દર્દનાક કથાઓ, અને અંતે જીવનમાં સ્થિર થવાના અથાક સંઘર્ષો, અને અંતિમ સફળતા સફળ ફિલ્મી ગીતકારનામાં તેમ જ જીવનના અંત સુધીની વિવિધ પ્રકારની લાક્ષણિકતાઓ ... વિ.વિ. બીજા પ્રકરણમાં મેં તેમની ચૂંટેલી પચીસ-ત્રીસ નઝમો, ગઝલો સંક્ષિપ્ત રૂપમાં અને તેના સંક્ષિપ્ત ભાવ સાથે, અને અંતમાં મહાનઝ્મ ''પરછાઈયાં''ને પણ સંક્ષિપ્ત રૂપમાં, અઘરી ઉર્દૂનું સરળીકરણ કરીને શુદ્ધ ગુજરાતીમાં રજૂ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે. બાકી સાહિરની મહાન નઝમોનો રસાસ્વાદ કે ભાવાનુવાદ કરવા જેટલી ક્ષમતા મારામાં ક્યાંથી લાવું? વાંચકોની સરળતા ખાતર મેં શાયરી હિન્દીમાં અને અઘરા ઉર્દૂ શબ્દોનો અર્થ બાજુમાં જ કૌંસમાં દર્શાવ્યો છે. મને ખાતરી છે કે અઘરી શાયરી લખનાર શાયરની ગહન ઊર્મિઓ, તેમનું અનન્ય ચિંતન, તેમના ઉદાત્ત વિચારો અને મહાન વિચારસરણીને મહત્તમ ન્યાય આપવાની કોશિશ મેં કરી છે. મારી દ્રષ્ટિએ સાહિરનો UNREQUITED LOVE( પ્રતિઘોષવિહોણો પ્રેમ) નું પ્રાકટ્ય કરતી નઝમો ‘’હિરાસ’’, ’’કિસીકો ઉદાસ દેખકર’’, ’’તેરી આવાઝ’’ અને ‘’અજનબી બન જાયેં હમ દોનો’’ વાંચીને વાંચક ભાવવિભોર થઇ જશે, તો ‘’તાજમહલ’’ અને ‘’પરછાઈયાં’’ વાંચીને તેમને સલામ કરવા મજબૂર થઇ જશે.
Update About Me
Report Issue
સાહિર લુધિયાનવી - બેમિસાલ શાયર અને ફિલ્મ-ગીતકારોમાં કોહિનૂર