"દિવ્ય કિરણો"નાં લેખિકા કવયિત્રી સુરત નિવાસી પૂર્વી પટેલ 'pk' છે, જેમનાં થકી આ કાવ્યસંગ્રહની ખૂબ જ ઉમદા રચના થયેલ છે. જેનાં વિચારોમાં દિવ્યતા છે. જે સમાજને પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે સત્યનો અરીસો બતાવે છે. જેમની કલમ થકી દરેક માનવીના મનની સત્ય વાતોએ વિવિધ રચનાનું રૂપ ધારણ કરેલ છે. કાવ્ય એમનેમ નથી લખાતા, તે લખવા કલમ પર હથોટી પ્રાપ્ત કરવી પડે છે. શબ્દોને તોડી મરોડીને તેના ભાવાર્થને સમજાવવા ઘણું મનોમંથન કરવું પડે છે. વાચક મિત્રો! તમે જ વિચારો જે પોતાની પુત્રી દિવ્યાને અતિશય પ્રેમ કરે છે. તેથી દિવ્યા નામને સાર્થક કરતી રચનાઓ તૈયાર કરી તથા પોતાનાં સાહિત્ય ક્ષેત્રે મનમાં ઉત્પન્ન થતી નાની મોટી વિડંબણા, બનાવો કે પ્રશ્નોના ઉત્તર માટે મને ગુરુ માતાનું પદ આપી તે પદની ગરિમા જાળવવા પુસ્તકનું નામ દિવ્ય કિરણો રાખનારનાં હસ્તે લખાયેલ પુસ્તક માટે વધારે શું કહેવું! જેમાં સચ્ચાઈ, આદર, પ્રેમ હોય જીવનના અનેક ઉતાર ચઢાવ જોઈ લીધા હોય, અનેક પ્રશ્નો સાથે પ્રસંગોને પાર પાડ્યા હોય, તેમની બળુકી કલમ થકી રચાયેલ આ દિવ્ય કિરણો વાંચનાર વાચક વર્ગને જરૂર પોતીકું લાગશે. ઉત્તમ વિચારસરણી સાથે રચેલ રચનાઓ વારંવાર વાંચી જીવન મર્મને સમજી આ કાવ્ય બધા વાગોળશે. પૂર્વ પટેલની કલમમાં સરસ્વતીની દિવ્ય આશિષથી સદા અનેક રચનાનું રસપાન કરાવી, સમાજને નવી દિશા આપતી રહે તેવી શુભેચ્છા. જે પ્રેમ અને નિસ્વાર્થ ભાવનાથી પોતાની દીકરી દિવ્યા અને ગુરુ માતા કિરણબેનને માન સન્માન આપી, એક નવી રાહ બધાને સૂચવવા દિવ્ય કિરણો પુસ્તક રચાયું તે સહુને અતિપ્રિય લાગશે જ. અસ્તુ. - કિરણબેન શર્મા 'પ્રકાશ'