• 13 August 2024

    મનોમંથન

    પ્રાર્થના - સંકટ સમયે હાથવગું ને બળૂકું હથિયાર

    0 16


    આપણા જીવનમાં ઘણીવાર એવી કટોકટીની પળો આવતી હોય છે જ્યારે આપણને લાગે કે બસ હવે થોડી જ ક્ષણોમાં બધું સમાપ્ત થઈ જશે. હાથવેંતમાં જ કોઈ મોટી અમંગળ દુર્ઘટના ઘટશે જેનાથી આપણી નિજી દુનિયા સાવ ખતમ થઈ જશે. અથવા તો આપણને એમ લાગે છે કે આ દુનિયામાંથી આપણું અસ્તિત્વ જ સાવ નેસ્તોનાબૂદ થઈ જશે અને એમ નહિ થાય અને અસ્તિત્વ રહેશે તો પણ આપણા માટે જીવન પછી જીવવા જેવું નહિ રહે.

    આ એક અકળ, અસહજ અને મનને વિચલિત કરી મૂકતી સ્થિતિ છે અને દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવી સ્થિતિનો અનુભવ થતો જ હોય છે. તમને પણ થયો હશે અને જો નહિ થયો હોય તો કદાચ ક્યારેક થઈ શકે છે, પણ એકવાર થશે જરૂર.

    જીવનમાં આવી સ્થિતિ ઉભી થાય જ્યારે આપણને એમ લાગે કે બસ થોડી જ વારમાં આપણી પોતાની દુનિયામાં બધું ખતમ થઈ જશે અથવા ખતમ નહિ થાય તો પણ કંઈક એવું બનશે કે જેનાથી આપણને જીવનમાં ક્યારેય ન પૂરી શકાય એટલી મોટી ખોટ પડશે. પછી એ ખોટ કોઈપણ સ્વરૂપે હોઈ શકે, આપણી પોતાની શારીરિક, આર્થિક, ધંધાકીય, કે અન્ય કોઈ અથવા તો એ ખોટ આપણા કોઈ સ્વજન સાથે સંકળાયેલ પણ હોઈ શકે છે. આવી સ્થિતિ ઉભી થાય ત્યારે આ વિકટ પરિસ્થિતિમાંથી હેમખેમ બહાર નીકળવા માટે આપણે આપણી બધી આવડત, અક્કલ, હોંશિયારી, ચાલાકી કે બુદ્ધિ, પૈસા (આપણા અને ક્યારેક બીજાના પણ), સંબંધો, વગ, લાગવગ, ઓળખાણ એમ આપણી પાસે જે કંઈ હોય તે એક પછી એક એમ બધા હથિયારો આપણે અજમાવતા જઈએ છીએ, પણ આપણું કોઈ હથિયાર કામ આવતું નથી. આવે ટાણે ભગવાન પણ જાણે આપણી કસોટી કરતો હોય એમ આપણા એકેય હથિયાર સફળ થતા નથી અને છેલ્લે જ્યારે એકેય હથિયાર કામમાં ન આવે અને બધી બાજુથી બધા દરવાજા બંધ થઈ ગયા છે એમ લાગે એટલે પછી આપણને આગળ કંઈ સૂઝતું નથી. જે કંઈ આફત કે મહામુશ્કેલી આવશે તેમાંથી હવે કોઈ કાળે બચી શકાશે નહિ એમ માની આપણે લમણે હાથ દઈ લાચાર થઈ બેસી જઈએ છીએ.

    એ સમયે આપણી મનોસ્થિતિ પણ કંઈક અવઢવ ભરેલી હોય છે તેથી આપણને ઈશ્વરને શરણે જવાનું સૂઝતું નથી, પરંતું ઈશ્વર બહુ દયાળું છે. આપણા આવા વિકટ સંજોગોમાંથી બહાર નીકળવા માટે ભગવાન એક દરવાજો તો સદાને માટે ખુલ્લો રાખે જ છે પરંતું કરૂણા એ વાતની છે કે આવા વિકટ સમયે આપણામાંથી ભાગ્યે જ કોઈનું ધ્યાન આ અલૌકિક દરવાજા તરફ જાય છે. આવા વિકટ સંજોગોમાંથી બહાર નીકળવા માટેનો આ દરવાજો કહો, મારગ કહો કે રામબાણ ઉપાય કહો તે છે ખરા અંત:કરણપૂર્વક ઈશ્વરને કરવામાં આવતી પ્રાર્થના. આપણે એક વાત ગાંઠે બાંધી લેવી જોઈએ કે આપણે ભલે ઈશ્વરને યાદ કરતા ન હોઈએ કે વારે વારે તેના અસ્તિત્વ અંગે શંકા કરતા હોઈએ તો પણ સર્જનહાર આ સમસ્ત જીવ-સૃષ્ટિ પર બહુ માયાળું વલણ રાખે છે. તમે યાદ કરો કે ના કરો ઈશ્વર સૃષ્ટિના કોઈપણ જીવ પ્રત્યે તસુભાર પણ ભેદભાવ દાખવતો નથી. આપણને મુશ્કેલી આપે છે તો એમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ બતાવે છે પછી ભલે આપણે ઈશ્વરને માનીએ કે ના માનીએ.

    આપણે બીજા બધાને આપણી મુશ્કેલી કહેતા ફરીએ છીએ અને એમાંથી બહાર નીકળવાનો માર્ગ પૂછતા ફરીએ છીએ પણ આવા અણીના સમયે આ સૃષ્ટિના સર્વેસર્વા એવા ઈશ્વરને યાદ કરવાનું આપણને ભાગ્યે જ સૂઝતું હોય છે. સમસ્યા કે મુશ્કેલી ગમે એટલી વિકટ કેમ ન હોય પણ સાચા અને નિખાલસ ભાવે જો આપણે પૂછીએ તો ઈશ્વર જરૂર આપણને રસ્તો બતાવે છે. એમાં શરત એટલી કે આપણને એ શક્તિ પર પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ.

    નાનપણમાં જ્યારે શાળામાં ભણતા ત્યારે નિયમિત રીતે કરવામાં આવતી પ્રાર્થનાનું મહત્ત્વ એ સમયે તો બાલ્યાવસ્થાને કારણે કદાચ ન સમજી શક્યા હોઈએ એ બનવા જોગ છે પણ ત્યારબાદના આપણા જીવનકાળ પર્યંત પણ પ્રાર્થના શું છે અને એની તાકાત કેટલી છે તેના તરફ ભાગ્યે જ આપણું ધ્યાન ગયું હોય છે. શાળામાં ભણતા ત્યારે લગભગ દરેક શાળામાં વાંચવા મળતો એક સુવિચાર “પ્રાર્થના એ આત્માનો ખોરાક છે” તેની અંદર રહેલા ભાવાર્થ પર આપણે કદાપિ વિચાર કર્યો જ નથી, અને એટલે જ જીવનમાં ડગલે ને પગલે આવતી નાની-મોટી આફતો કે મુશ્કેલીઓથી આપણે વિચલિત થઈ જઈએ છીએ.

    પ્રાર્થના એ આપણા માટે અણીના સમયે અચૂક કામ કરતી આજીવન બાધારહિત હેલ્પલાઈન છે જેમાં આપણે આપણો અહં, આપણું અભિમાન, આપણી બુદ્ધિ, અક્કલ, હોંશિયારી, ચાલાકી, આવડત, ધન-સંપત્તિ, પૈસા, સુખ અને ભૌતિક સગવડો એમ બધું જ ભૂલી જઈ આપણા અંતર-મનને નિર્મળ અને નિખાલસ બનાવી સાવ બાળક જેવા બની જઈ ઈશ્વર સાથે સીધો સંવાદ કરીએ છીએ. ઘણા લોકોને આ વાત પર કદાચ જલ્દી વિશ્વાસ ન બેસે એમ બને, પણ તેનો અખતરો એક વાર કરવા જેવો ખરો, એનાથી તમને લાભ થાય કે નહિ એ અલગ વાત છે પણ કોઈ નુકસાન તો નહિ જ થાય એ તો સો ટકાની વાત છે.

    સામાન્ય રીતે પ્રાર્થના ઉપર આપણે બહુ વિશ્વાસ રાખતા નથી એની પાછળનું કારણ આપની નાસ્તિકતા છે એમ નહિ પરંતું આપણી આસપાસનું વાતાવરણ પણ એમાં બહુ મોટો ભાગ ભજવે છે, ખાસ કરીને આપણી એક બહુ જૂની અને ઘર કરી ગયેલી આદત કે આમ કરીશ તો લોકો શું કહેશે? આપણો અંતરાત્મા આપણને શું કહે છે એ સાંભળવાને બદલે બીજા લોકો આપણને શું કહેશે એની આપણને વધારે ચિંતા હોય છે, અને તેથી આપણે સંકટ સમયમાંથી ઉગરવા સાચા હથિયારનો ઉપયોગ કરવાને બદલે આપણી પોતાની બુદ્ધિ, ચતુરાઈ અને તેનાથી કામ પાર ન પડે તો બીજાઓ પાસેથી જે કંઈ મળે તેનો આધાર લેવામાં પણ આપણે અચકાતા નથી, પરંતુ આ સૃષ્ટિના સર્જનહાર અને સૌથી મોટા “તારણહાર” એવા ઈશ્વરના શરણે જવા તરફ ભાગ્યે જ આપણું ધ્યાન જાય છે.

    ઘણા લોકો મુશ્કેલીથી બચવા વખત આવ્યે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતા હોય છે પણ એ ક્ષણિક અને હેતુપૂર્વકનું હોય છે અને એની પાછળની આપણી ભાવના ઈષ્ટદેવના શરણે જવાની ઓછી અને મુશ્કેલીથી બચવાની વધુ હોય છે. પ્રાર્થના કરતી વખતે આપણી આરાધના ઓછી અને માગણી વધારે રહેતી હોય છે, અને તેમાં પણ આપણે - હે ઈશ્વર તું મને આમાંથી ઉગારી લે અથવા મારું આટલું કામ કરી આપીશ તો હું આમ કરીશ અથવા તેમ કરીશ - એવી લાલચ ભગવાનને આપતા હોઈએ છીએ, ત્યારે આપણે એ ભૂલી જતા હોઈએ છીએ કે ભગવાન ભાવનો ભૂખ્યો છે ભોગનો નહીં.

    પ્રાર્થનાની પહેલી શરત એ હોય છે કે એમાં તમારે તમારું સર્વસ્વ અને તમારા સમગ્ર અસ્તિત્વને ભૂલી જઈ મનને તદ્દન નિર્મળ કરી દઈ પરમ તત્ત્વ સાથે એકાકાર થવાનું હોય છે. પ્રાર્થનામાં તમારા શબ્દો મહત્ત્વના નથી પરતું તમારી આરાધના, સમર્પણ અને શરણભાવ વધુ મહત્ત્વના હોય છે. પ્રાર્થનામાં તમારા શબ્દો કદાચ આડા-અવળા થઈ જશે તો બહું વાંધો નહિ આવે. ઈશ્વર તો અંતર્યામી છે અને તેથી તમારા મનમાં શું ચાલી રહ્યું છે એની એને ખબર જ હોય છે. તેથી ઈશ્વર સમક્ષ તમારી મુશ્કેલીઓ કે પારાવાર દુ:ખોનું વર્ણન કરવાની જરૂર નથી. ઈશ્વર તરફની તમારી ભાવના અને શરણાગતિ જો સાચી હશે તો પ્રાર્થનામાં આડા-અવળા થઈ ગયેલા શબ્દો તો ઈશ્વર એની મેળે ગોઠવી લેશે અને તમારી સાચી ભાવના કળી જશે. જીવનની મુશ્કેલીઓ વિશે એમ કહી શકાય કે મુશ્કેલીઓનું નિર્માણ થતા પહેલા જ તેનું સમાધાન તૈયાર હોય છે પણ વિપત્તિ વેળાએ મુશ્કેલીઓ, પરેશાનીઓ અને દુ:ખોથી આપણું મન બહાવરું અને ઘાંઘુ બની જાય છે તેથી નજર સામે હોવા છતાં આપણને એનું સમાધાન જડતું નથી. એ સમયે બે મિનિટ માટે પણ જો ઈશ્વરને સાચા હૃદયથી યાદ કરવામાં આવે તો ગમે તેવી મુશ્કેલીઓ કે દુ:ખોમાંથી પણ ઈશ્વર આપણને મારગ કાઢી આપે છે એમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી.


    -હિતેશ એસ. રાઠોડ

    સરગાસણ, ગાંધીનગર



    Hitesh Rathod


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!