જીવનમાં અનેક પ્રકારની સંપત્તિ, કીમતી વસ્તુઓ આવશે અને જશે, માણસ એ સંપત્તિને સંગ્રહી રાખવા અને સાચવવા મથતો રહે છે, તેમ છતાં અંતે તો તે નશ્વર જ છે, પરંતુ એક મૂડી એવી છે જેને આજીવન સાચવી શકાય - એ છે સ્વાભિમાન. વળી, અભિમાન અને સ્વાભિમાન વચ્ચે પાતળી ભેદરેખા રહેલ છે જે સમજવું જરુરી છે.
સ્વાભિમાન શબ્દનાં જન્મદાતા વીર નર્મદ છે. નેવે મુકેલી શરમની વધી ઘટી આબરૂનું રહ્યુ સહ્યુ માન એટલે સ્વાભિમાન. પોતાનાં જ માનનું એડવાન્સ બુકિંગ એટલે સ્વાભિમાન.
જો સ્વાભિમાન દરેક સાંસારિક તથ્યોથી ઉપર રાખવામાં આવે તો જ પોતાનાં વ્યકિતત્વની ગરિમા જળવાય. પોતાની સંપત્તિ જાળવવી, રૂપ કે શરીર જાળવવું એ કરતાં અનેકગણું જરૂરી છે પોતાનાં વ્યકિતત્વની ગરિમા જાળવવી. જે જગ્યાએ આપણી ઉપસ્થિતિ કે અનુપસ્થિતિની નોંધ ન લેવાતી હોય તે જગ્યાએ ફરી ક્યારેય પગ ન મૂકવો. સ્વાભિમાન એ વ્યક્તિગત હોય કે વ્યવહારિક દરેક સંબંધમાં સમતુલન જાળવી રાખતી પરિપાટી છે.
ટુ ધ પોઈન્ટ:
અભિમાન એટલું ઓછું રાખવું કે
કોઇ વિનંતી કરતાં અચકાય નહીં,
સ્વાભિમાન એટલું વધારે રાખવું કે
કોઇ હુકમ કરવાની હિંમત કરે નહીં.
- મમતા મહેશ્વરી