25વચન શબ્દમાં અનેરી શક્તિ રહેલી છે. તેથી જ તો વચનપાલન કરનાર વ્યક્તિની અલગ જ મહત્તા ગણવામાં આવે છે. જેમ કે, 'પ્રાણ જાય પણ વચન ન જાય' ની રીતિ પાળનાર રઘુવંશના અમર પાત્રો...
ધર્મનું પાલન કરનાર વ્યક્તિ જ્યારે કોઈને વચન આપે છે ત્યારે તે વચનની પૂર્તિ કરવા માટે કુદરતી તત્વો તેને મદદરૂપ થાય છે.
આજના યુગમાં જ્યારે લોકોનું માનસ કેટલીક સેકન્ડની ગણતરીમાં બદલાઈ જતું જોવા મળે છે તો પછી લાંબા ગાળાના અથવા તો જીવનભરનાં વચન નિભાવવાની વાત તો દૂર રહી...વચન શબ્દ તો એક ઉદાહરણ છે, ખરેખર, આપણે એક જ વસ્તુ, વિચાર કે નિર્ણય પર ટકી નથી શકતા એ આપણી મોટામાં મોટી નબળાઈ છે. આજના સમયમાં કહેવાતા પ્રેક્ટિકલ લોકો વચન પાલનમાં માનતા નથી...તેમ છતાંય જેમાં સત્વ છે તેવાં લોકો જ્યારે વચન આપે છે ત્યારે કુદરતના તમામ તત્વો તેની વચન પૂર્તિ કરાવે છે , તે સત્વશીલ વ્યક્તિ જો વચન તોડવા પણ ઈચ્છે તેમ છતાં તેવું થઈ શકતું નથી.ગંગાસતી વચનનો મહિમા ગાતાં કહે છે કે,
"વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ, વચન છે ભક્તિ કેરૂં અંગ
ગંગાસતી એમ બોલિયાં રે, કરવો વચનવાળાનો સંગ...
વચન વિવેકી જે નર નારી પાનબાઈ ! તેને બ્રહ્માદિક લાગે પાય રે"
અર્થાત્ વચનમાં જ પરિપૂર્ણતા છે, વચન જ ભક્તિનું અંગ છે અને સંગ કરવો હોય તો એવા વ્યક્તિનું કરવું જેમાં વચન પ્રત્યેનો વિવેક હોય.એવાં વ્યક્તિને તો બ્રહ્માસહિત સૌ દેવો નમન કરે છે.
કહેવાય છે કે આપણા બોલાયેલા શબ્દો બ્રહ્માંડમાં ફરતા હોય છે, તેવી જ રીતે કોઈ ક્ષણે મક્કમ મનથી, હૃદયનાં ઊંડાણમાંથી લીધેલ વચન પણ બ્રહ્માંડના એ અલૌકિક તત્વો સાથે જોડાઈ જાય છે. એટલે જ તો વડીલો પાસેથી આપણે સાંભળતા હોઈએ છીએ કે સારું વિચારો અને સારું બોલો.
ટુ ધ પોઇન્ટ:
સત્વશીલ વ્યક્તિ ઈશ્વરની સૌથી નજીક હોય છે , તેથી જ તો ઈશ્વર પણ તેની મહત્તા અને ગરિમા જાળવવા માટે મથતો હોય છે.
- મમતા મહેશ્વરી 'ધાનિ'