4સાલુ હમણાંથી મનના હિંડોળે ઝૂલી રહ્યો છું એવું લાગી રહ્યું છે. મારા મત મુજબ મનના હિંડોળે એટલે આપણા મનમાં એકીસાથે ઘણા વિચારોનું આવન જાવન થતું રહેવું. હા, દરેકના મનમાં વિચારો તો સતત આવતા જ રહેતા હોય છે પણ દરેકની કેપેસિટી મુજબ તે વિચારો બદલાતા રહે છે.
આમ જોવા જાઓ તો આપણી આસપાસ બે પ્રકારના માણસ જોવા મળે. એક અંતર્મુખી અને બીજા બહિર્મુખી. આપણામાંથી ઘણા આ બંને પ્રકારમાંથી કોઈ એકમાં આવતા હશે..! મનના વિચારોનું વહન સહુથી વધારે અંતર્મુખીને થાય છે કારણકે અંતર્મુખી પાસે કોઈ વ્યક્તિ હોતી નથી કે જે તેની વાતોને સમજી શકે, સાંભળી શકે અને જાણી શકે. તે તેની વાતો અંદરને અંદર રાખે છે છેવટે તે ભાંગી પડે છે. જ્યારે આંતરિક વાત, મનની લાગણી, અહોભાવ અને વિચાર કોઈને રજૂ ન કરી શકાય ત્યારે મનના હિંડોળા ઝૂલવાના ચાલુ થાય છે. બહિર્મુખી ને પણ મનના હિંડોળા થાય છે. હા, તેને અંતર્મુખીની સરખામણીમાં થોડા ઓછા થાય છે.
આમ જોવા જાઓ જેમકે, ક્યારેક મન ખુબજ ખુશ હોવું તો ક્યારેક મન સતત વિચારતું હોવું, ભયંકર વિચારોથી બદલાતુ હોવું, અકારણ ભારે હોવું, અચાનક દુઃખી થવું વગેરે વગેરે.
આ મનની સંરચના ને સમજવી ઘણી અઘરી છે. ક્યારેક એવું લાગે કે આ દુનિયાનું બધું દુઃખ મને એકલાને મળ્યું છે અથવા ક્યારેક એમ લાગે હું જ કેમ..? શા માટે મારી જોડે બને છે..? શું મારામાં કોઈ પ્રોબ્લેમ હશે..? શું લોકો મને નથી સમજી શકતા અથવા હું લોકોને સમજી નથી શકતો..? બસ, આ બધાજ પરિબળો મનના હિંડોળાને મજબૂર કરે છે.
હવે, જો આ બધા લક્ષણોમાંથી બચવું હોય તો... માત્ર ને માત્ર પોતાનામાં વ્યસ્ત રહો, સારા પુસ્તકો વાંચો, લોકો જોડે બોલવાનું ચાલુ કરો, શરમ છોડી દો, પોતાની વાતને લોકો સમક્ષ મૂકો, સામે વાળો/વાળી શું વિચારશે તે છોડી દો, અકારણ ગુસ્સે થવાનું છોડી દો જેવા અનેક પરીબળો છે જેને અનુસરવાથી મનના હિંડોળા દૂર થાય છે.
બાકી હમણાંથી આ રોગમાંથી ઘણા લોકો પસાર થઈ રહ્યા છે.
આભાર
તીર્થ શાહ.