• 07 April 2020

    ઝાકળભીના સંબંધો

    (25) તમે કેમ નાસ્તિક છો?

    5 172

    (25)

    તમે કેમ નાસ્તિક છો?

    દુનિયાનાં બધાંજ દેશોમાં નાસ્તિકો કરતાં આસ્તીકોની સંખ્યા વધારે છે. એટલેકે ધાર્મિક લોકોની સરખામણીએ અધાર્મિક લોકો ઓછાં છે. સામાન્ય રીતે આસ્તિક એટલે ભગવાનમાં અને ધર્મમાં શ્રદ્ધા ધરાવતી વ્યક્તિ. તેનાથી ઉલટું જે ભગવાન કે ધર્મમાં માનતી ન હોય તેવી વ્યક્તિને નાસ્તિક માનવામાં આવેછે. નાસ્તિકને રેશનાલીસ્ટ કે એથીએસ્ટ તરીકે પણ ઓળખવામાં આવેછે. નાસ્તિકો કપોળકલ્પિત વાતો કે ધર્મગ્રંથોમાં લખેલી વાતો, જેવીકે પાપ-પુણ્ય, પૂર્વજન્મ, જ્યોતિષ વગેરેમાં માનવાને બદલે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વાતોનેજ માનેછે. તેઓ ભ્રમણાઓમાં જીવવાને બદલે વાસ્તવિકતામાં જીવવાનું પસંદ કરેછે.

    આમ તો ભારતીય સમાજમાં નાસ્તિકોની સંખ્યા આસ્તીકોની સરખામણીએ માંડ બે ટકા પણ નહિ હોય. એટલે સ્વાભાવિક છે કે નાસ્તિકોની સાથે આસ્તીકોનું ઘર્ષણ થવું શક્ય નથી. જોકે દુનિયાનાં વિકસિત દેશોમાં ધીરે ધીરે નાસ્તિકોની સંખ્યા વધવા લાગીછે તેવું સર્વેના આંકડાઓ કહેછે. ભારત જેવાં અતિ ધાર્મિક દેશમાં પણ હવે તો યુવાનો ધર્મથી દુર ભાગતાં થયાં છે. આસ્તિક હોવું કે નાસ્તિક હોવું તે દરેક વ્યક્તિની પર્સનલ બાબત છે. ભારત સ્વતંત્ર દેશ છે. આપણા બંધારણમાં પણ દરેક વ્યક્તિને પોતે કયો ધર્મ પાળવો કે ન પાળવો તે બાબતે સ્વતંત્રતા આપવામાં આવીછે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને સમાન નાગરિક ધારો ઘડવા આદેશ આપેલછે. કહેવાનો મતલબ એટલોજ કે આપણા દેશના કાયદાઓને વ્યક્તિને ધ્યાનમાં રાખીને બનાવવામ આવ્યાછે, નહીકે ધર્મને ધ્યાનમાં રાખીને. છતાંપણ આપણી એ કમનસીબી છે કે આપણા રાજકારણીઓ મતબેન્કને ધ્યાનમાં રાખીને ધર્મની તરફેણમાં કાયદાઓનો ઉપયોગ કરેછે.

    દુનિયામાં મોટાભાગના યુદ્ધો ધાર્મિક કારણોને લીધેજ થયાં છે. આપણા દેશમાં પણ ધાર્મિક સરઘસો દરમ્યાન કોમી હુલ્લડો અવારનવાર થતાં જ રહેછે. જયારે આવાં ધાર્મિક સરઘસો નીકળવાના હોય ત્યારે સરકારે તેનો બંદોબસ્ત કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડેછે. તેમછતાં પણ ક્યારેક કોમી રમખાણો ફાટી નીક્ળેછે. લોકોનાં જાનમાલ, મિલકતો, રોજગારી વગેરેના ભોગે ધાર્મિક સરઘસો કાઢવા તેના કરતાં તેનાપર પ્રતિબંધ મુક્યો હોયતો !

    રાજકારણ, કાયદો અને ધર્મ એ ત્રણેય જુદીજ બાબત છે. તેના ઉપર આ તબક્કે ચર્ચા કરવી ઉચિત નથી. અહી આપણે નાસ્તિક, આસ્તિક અને તેમની સાથેના માનવીય સંબધોની વાત કરીશું. દરેક વ્યક્તિનો ધર્મ તેનો કોના ઘરે જન્મ થાયછે તેના પર આધાર રાખેછે. હિન્દુના ઘરમાં જન્મેલા બાળકનો ધર્મ હિંદુ અને મુસ્લિમના ઘરે જન્મેલા બાળકનો ધર્મ મુસ્લિમ હોય તે સ્વાભાવિક છે. દરેક વ્યક્તિ જન્મ સમયે મળેલો જે તે ધર્મ મરે ત્યાં સુધી નિભાવતી હોયછે. જોકે કેટલાંક લોકો મોટા થયાં પછી ધર્મ પરિવર્તન પણ કરતાં હોયછે. ખાસ કરીને સ્ત્રીઓ, બે વિધર્મીઓ લગ્ન કરે ત્યારે સ્ત્રી પોતાના પતિનો ધર્મ અપનાવતી હોયછે. અહી પણ પુરુષ પ્રધાન સમાજનું વર્ચસ્વ જોવા મળેછે.

    વિનય હિંદુ કુટુંબમાં જન્મ્યો હતો. ઘરમાં પહેલેથીજ ધાર્મિક વાતાવરણ. ઘરનાં બધાંજ લોકો ધર્મપરાયણ. નાનો હતો ત્યારથીજ વિનયને ધર્મમાં સમજણ પડતી ન હતી. તેના કારણે તે તેના માં-બાપ અને મોટા ભાઈ-બહેનને સવાલો પૂછતો. મોટાભાગે તેના સવાલોના સંતોષકારક જવાબો કોઈ આપી શકતું ન હતું, અથવા તો ગોળગોળ જવાબ આપીને કે ધમકાવીને તેને ચુપ કરી દેવામાં આવતો. મોટા થયાં પછી વિનયે જાતેજ ધર્મગ્રંથોનો અભ્યાસ કરીને તેના પ્રશ્નોનું સમાધાન મેળવવા પ્રયત્ન કર્યો, તેમાં પણ તેને સફળતા મળી નહિ. તેને લાગ્યું કે ભગવાન, પાપ-પુણ્ય, ધર્મ, જ્યોતિષ વગેરે માણસોએ ઉપજાવી કાઢેલી બાબતો છે. તેનાથી દુર રહેવામાં જ ભલાઈ છે. ત્યારબાદ વિનયને લોકો નાસ્તિક તરીકે ઓળખવા લાગ્યાં.

    વિનયના મેરેજ થઇ ગયાં. વિનયની વાઈફ આસ્તિક હતી. વિનય ભલે નાસ્તિક હતો પરંતુ તે તેની વાઈફને ધાર્મિક વિધિઓ કરવામાં કે મંદિરે જવા માટે ના પડતો ન હતો. વિનય કહતો કે તેને પોતાની માન્યતા મુજબ જીવવાનો અધિકારછે. હા, ઘણીવાર તેની પત્ની તેને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા સમજાવતી. તેના ઘરનાં લોકો પણ સમજાવતાં ત્યારે તે એટલુજ કહેતો, મને આ બધી બાબતો સમજાતી નથી એટલે હું આ બધાથી દુર રહુછું. થોડાંક વરસ બાદ તેની પત્નીએ પણ તેને સમજાવવાનું છોડી દીધું.

    રવિ, વિશાલ અને દીપક એ ત્રણ વિનયના ખાસ મિત્રો હતાં. તે બધાં સાથેજ ટુરમાં ફરવા જતાં. મહીને બે મહીને એકબીજાના ઘેર ભેગા થઈને મસ્તી કરતાં. વિનયના મિત્રોને પણ ખબર હતી કે વિનય નાસ્તિક છે. તેઓ જયારે જયારે મળે ત્યારે વિનયને ભગવાનમાં માનવા માટે સમજાવે, દાખલા-દલીલો આપે, ચર્ચાઓ કરે પરંતુ વિનય ટસનો મસ ન થાય. ઘણીવાર તેમની ચર્ચાઓ ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરીલે. તેઓ કોઈક ધાર્મિક સ્થળે ફરવા જાય ત્યારે પણ વિનયને તે લોકો ટોન્ટ મારે. જોકે જુના સ્થાપત્ય ધરાવતાં મંદિરો જોવા વિનય ખાસ જાય, ત્યારે પણ તેને મિત્રોનું કઈ ને કઈ સંભાળવું પડે. આવું કઈ થાય ત્યારે ઘેર આવ્યા પછી વિનયની પત્ની વિનયને ખખડાવે. તમે ભગવાનમાં માનતા નથી તેમાં મારે લોકોનું કેટલું સાંભળવું પડેછે ! તમારાં ફ્રેન્ડસ પણ મને કહેછે કે ભાભી તમે વિનયને કેમ સમજાવતાં નથી ? તેના જવાબમાં વિનય ફક્ત એટલુજ કહેછે. એ તો બોલ્યા કરે, તું શું કામ મનપર લેછે ! વિનય તેના મિત્રોને પણ કહેતો કે હું નાસ્તિક છું છતાંપણ તમને નાસ્તિક થવા માટે સમજાવતો નથી કે કોઈ જાતનું દબાણ કરતો નથી, તો પછી તમે શું કામ મને ભગવાનમાં માનવા માટે દબાણ કરોછો ? હું માનવતામાં માનુછું. મારે મન માનવતા જ મોટો ધર્મ છે.

    વિનયની વાત ખોટીપણ નથી. નાસ્તિક હોવાં છતાં કોઈ માણસ ખોટાં કામ ન કરતો હોય, દંભ ન કરતો હોય અને ભલો હોય તો તેમાં ખોટું શું છે? તમે માર્ક કરજો મોટાભાગના ગુનેગારો, ખૂનીઓ, ચોર-લુંટારા, બળાત્કારીઓ વગેરે લોકો ધાર્મિક અને ભગવાનને પૂજનારા હોયછે. શું આસ્તિક અને ધાર્મિક હોવાથી ગુનો કરવાનો પરવાનો મળી જાયછે? તેઓ ભગવાનના ભક્ત હોવાથી ભગવાન તેમને માફ કરીદે છે?!

    &&&



    Manhar Oza


Your Rating
blank-star-rating
તેજસ પટેલ - (24 February 2021) 5
વાહ સુંદર.

0 0

ભગીરથ ચાવડા - (23 July 2020) 5
વાહ! એકદમ સાચીવાત કરી આપે.... થોડી વાર માટે તો લાગ્યુ જાણે તમે વિનયની નહીં મારી જ વાત કરી રહ્યા છો.....

0 0