• 29 March 2022

    વિચાર વિહાર

    મૃત્યુ

    5 150

    મૃત્યુ


    કોરોનાની મહામારીમાં ઘણાં લોકોએ મોતને ખૂબ નજીકથી જોયું. ધણાં બધાંએ ઓચિંતા પોતાના સ્વજનોને ખોયા. 'મૃત્યુ' શબ્દ કઠણ હ્રદયના માનવીને પણ વિચલિત કર્યા વગર રહેતો નથી. સ્વજનની વિદાય પછી આવી પડેલી પરિસ્થિતિ પર થોડો વિચાર.. વિહાર..



    આપણે મશીન નથી...


    જન્મ લેનાર દરેક વ્યક્તિનું નિશ્ચિત સમયે મૃત્યુ નિશ્ચિત છે જ, પણ તો પણ, કોઈ પણ સ્વજનનું મૃત્યુ મનને કંપાવી દેતું હોય જ છે. મૃતક જોડે આપણી અનેક લાગણીઓ, પ્રીતિ, સ્મરણો, આશાઓ અને સ્વપ્ન જોડાયેલા હોય છે અને એટલે જ સ્વજનનું મૃત્યુ આપણા હ્રદય અને આપણને નિઃસહાય પરિસ્થિતિમાં મૂકી દે છે! કદાચ એ સ્વાભાવિક પણ છે કારણ કે આપણે મનુષ્ય છીએ મશીન નહીં..! સમય સાથે ઇશ્વર આપણને એ વિષાદ, ગેરહાજરી, શોક સહન કરી શકવા માટે સક્ષમ બનાવી દેતો હોય છે પણ આપણું સ્નેહીજન સદેહે કયારેય આપણી સમક્ષ નહીં આવી શકે એ વિચાર પીડાદાયક તો હોય છે જ. એ ખોટ અને એ ખાલીપો ક્યારેય કોઈનાથી પણ પૂરી નથી જ શકાતો .!


    લાગણીને માપવાના વજન કાંટા ન હોય...


    છેલ્લાં થોડાં સમયમાં અલગ અલગ પ્રકારની વ્યક્તિઓને મળવાનું થયું. અમૂક એવા કે જે પ્રિયજનની વિદાય પછી નિરાશા અને ઉદાસીનતામાં ગરકાવ થઇ ગયા હોય. લાંબા સમય પછી પણ તેઓ પોતાની જીવંતતા ઉત્સાહ પાછો લાવી ન શક્યા હોય અને ધીરે ધીરે પોતે અને પોતાની આજુબાજુની વ્યકિતને પણ એમાં ડુબાડતા ગયા હોય!


    બીજી બાજુ, એવી વ્યક્તિઓ પણ જોવા મળી કે જેણે સ્વજનના મૃત્યુને સમ્માન આપી, બહાદુરીથી પોતાનું જીવન આગળ ધપાવવાનું શરૂ કરી દીધું હોય. એ લોકો પોતાના મનને સવાલ પૂછે કે હું શોકમાં રહું, રડયા કરું તો ગુમાવેલ સ્વજનની આત્માને ગમે? આવી વ્યક્તિઓ સ્વજનના સ્વપ્નો અને સ્મરણોને જીવંત રાખી પોતાના જીવનના ઉદાહરણથી અનેકને હિંમત અને પ્રેરણા આપે છે.

    સ્વજન ગુમાવનાર વ્યક્તિ ઢીલું રહે કે મજબૂત, એને પોતાના સ્વજન માટે લાગણી તો હોય જ અને એને માપવાના વજનકાંટા પણ ન હોય પરંતુ જે વ્યક્તિ ક્યારેય પરત નથી જ આવવાની એને માટે સતત વ્યથામાં રહેવું યોગ્ય છે? આપણા ખુદના મૃત્યુ પછી આપણા સ્વજનો સતત નિરાશામાં રહે તો આપણને ગમે? કોઈએ કહ્યું છે ને કે, જીવનમાં નદીની જેમ સતત વહેતા રહેવાનું. પત્થર આવે, ખાડા ટેકરા આવે કે તોફાનો.. સતત ગતિશીલ રહેવાનું.. જીવંતતા ક્યારેય ન ગુમાવવી .


    ભગવદ્ ગીતામાં લખ્યું છે કે દરેક વ્યક્તિએ અનુકૂળ - પ્રતિકૂળ સંજોગો, માન-અપમાન, પ્રશંસા-બદનામી, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ બધું જ સમાન ભાવે જોવું જોઈએ. ખૂબ કઠિન છે પણ પ્રયત્ન કરવો જ પડે કારણકે, દૈહિક બંધનમાંથી મુક્ત થયેલો જીવ ઇશ્વરના સંગનું સુખ ભોગવવાની યાત્રા પર ગયેલો હોય ત્યારે એને દુઃખી કરાય? દરેક જીવ પોતાના કર્મ અનુસાર વિભિન્ન શરીર પામે છે ને સમય આવે એનો ત્યાગ પણ કરે જ છે. એનો સ્વીકાર કરવો જ રહ્યો!


    મનને કેમ મનાવવું ?


    મૃત્યુનો સહજ સ્વીકાર કરવો. ઇશ્વરના ફેંસલાને સન્માન આપવું.

    ઢીલા ન પડવું. જીવન પ્રવૃત્તિમય રાખવું.

    સ્વજન જોડે આપણી આટલી જ લેણદેણ લખાયેલી હશે તે સત્ય સ્વીકારવું.

    હકારાત્મક વાતાવરણમાં રહેવું. નામસ્મરણ અને પ્રાર્થનાઓ નિયમિત કરવી.

    સ્વજન જોડે ગાળેલા સમયને જીવનનું ભાથું ગણી, એેની યાદ સાથે સ્મિત વેરી એ જીવાત્માને તૃપ્ત કરવા કોશિશ કરવી.


    મરવાનું તો બધાંને છે જ પણ જીવન મૃત:પ્રાય બનાવવાનો કોઈ અર્થ ખરો?


    એક નાનકડી પ્રાર્થના સૌના ગુમાવેલા સ્નેહીજનો માટે..

    હે નાથ,

    જે જીવ આવ્યો આપ પાસે

    શરણમાં અપનાવજો.

    પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.


    એક વિચાર.. એક વિહાર..
















    પૂર્વી ચોકસી


Your Rating
blank-star-rating
Chandrika Patel - (20 April 2022) 5
સુંદર👌👌સત્ય

1 1

Pandya Ravi - (03 April 2022) 5

1 3

અનિરૂધ્ધસિંહ ઝાલા "રાજ" - (30 March 2022) 5
વાહ સરસ

1 2

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (29 March 2022) 5
ખૂબ સરસ વાત કરી. મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે એટલો એનો જાત માટે ને સ્વજન માટે સ્વીકાર કરી લેવાથી જીવન પસાર કરવું સરળ બને છે.

1 1

ઉમંગ ચાવડા - (29 March 2022) 5

1 1

Geeta Chavda - (29 March 2022) 5
અદભુત... પૂર્વી મૃત્યુ ને સ્વીકારી જીવનને જીવંત રાખવાની પ્રેરણા આપતો તારો વિચાર વિહાર મને ખુબ ગમ્યો.પ્રિય વ્યક્તિ કે સ્વજનની વિદાય પછીશરૂઆત નો સમય બહુ કઠિન હોયછે. સમય સાથે થોડા હળવા થવાયછે અશ્કય નથી પણ અઘરું બહુ છે. આવુ સરસ લખતી રહે..👍👍

1 2

Mita Mehta - (29 March 2022) 5
very true, જીવનમાં ખાડા ટેકરા તો આવે, પણ હમ્મેશા ગતિશીલ રહેવું ખૂબ સુંદર વિચાર 🙏🏻

1 1

View More